નવરાત્રીના તહેવારમાં રાત્રે કર્ફયુ ભંગ અને દુકાન હોટલ ખુલ્લી રાખી જાહેરનામા ભંગના ૧૧૬ કેસ
માસ્ક પહેર્યા વગર નીકળનારા અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા સામે પણ કાર્યવાહી કરાઇ
રાજકોટ તા. ૮ : નવરાત્રીના તહેવારની ઉજવણીમાં સરકારે કોરોના વાયરસ મહામારીને ધ્યાને રાખી અમુક નિયમો સાથે છુટછાટ આપી રાત્રી કર્ફયું અંગેનું જાહેરનામુ યથાવત રાખવામાં આવ્યું છે ત્યારેગઇકાલે પોલીસે રાત્રે કર્ફયુમાં નીકળનારા તથા દુકાન અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખી જાહેરનામા ભંગ ૧૧૬ વ્યકિત સામે કાર્યવાહી કરી છે.
નવરાત્રીના તહેવાર અનુસંધાને પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે રાત્રે મોડે સુધી કર્ફયુમાં ઘરની બહાર નીકળનારા, દુકાન અને હોટલો ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા અંગે સુચના આપથા પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એડીવીઝન પોલીસે કર્ફયુનો ભંગ કરનારા ૧૪, બીડીવીઝન પોલીસે રાત્રે રેસ્ટોરન્ટ ખુલ્લા રાખી બે સંચાલક સામે, ભકિતનગર પોલીસે કર્ફયુંનો ભંગ કરનારા ૧૧ અને દુકાન ખુલ્લી રાખનારા ૬ વેપારી સામે, થોરાળા પોલીસે માસ્ક પહેર્યા વગર નીકળેલા ત્રણ તથા રાત્રે રેસ્ટોરન્ટ અને દુકાન ખુલ્લી રાખનારા ત્રણ સામે આજીડેમ પોલીસે પાંચ વેપારી, ગાંધીગ્રામ પોલીસે દુકાન ખુલ્લી રાખનારા ૯, કર્ફયુનો ભંગ કરનારા ત્રણ, યુનિવર્સિટી પોલીસે રેસ્ટોરન્ટ અને દુકાનના ચાર, કર્ફયુંનો ભંગ કરનારા ૯ સામે, માલાવીયા નગરપોલીસે દુકાન ખુલ્લી રાખનારા પાંચ અને કર્ફયુંના ભંગ કરનારા ૧૭ સામે, તાલુકા પોલીસે કર્ફયુંનો ભંગ કરનારા ર૧ વ્યકિતઓને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.