વાવડીના જૂના હરિજન વાસમાં આસ્થાનાં કેન્દ્ર સમાન ૧૦૦ વર્ષ જુનો પારસ પીપળો કોણે કાપી નાંખ્યો?
સદ્દગુરૂ બાલક સાહેબ દ્વારા ઉછેરવામાં આવેલ આ પીપળાની વર્ષોથી પૂજા થતી હતીઃ રજૂઆત
રાજકોટ તા. ૮ :.. શહેરનાં વાવડી વિસ્તારમાં ગૌતપ બુધ્ધનગરનાં રહેવાસીઓએ પોલીસ કમિશ્નર - મ્યુ. કમિ.ને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરી છે કે વાવડીનાં જૂના હરિજનવાસમાં ૧૦૦ વર્ષ જૂના પૂજનીય પારસ પીપળાને કોઇએ કાપી નાખતાં આ પીપળાથી પૂજા કરનારા શ્રાધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોઇ. આ પીપળો કોને કાપી નાખ્યો ? તેની તપાસ કરાવી જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠાવી છે.
આ આવેદન પત્રમાં જણાવાયું છે કે વોર્ડ નં. ૧ર માં આવેલ જૂના હરિજનવાસમાં માલિકીની જમીનમાંથી ૧૦૦ વર્ષ જૂના પીપળાનાં વૃક્ષને કોઇએ ઇલેકટ્રીક કટરથી કાપી નાંખ્યો છે.આ પારસ પીપળો ૧૦૦ વર્ષ અગાઉ સદ્્ગુરૂ બાલક સાહેબ દ્વારા ઉછેરવામાં આવેલ અને વર્ષોથી આ પીપળાનું પૂજન થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રકારે આ પૂજનીય પીપળાનાં વૃક્ષને કાપી નંખાતાં લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આથી આ પીપળો કોણે કાપી નાખ્યો ? તેની સ્થળ તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા માંગે છે. (પ-૪૧)