શાપરમાં વૃધ્ધ મોહમ્મદભાઇ બ્લોચનો એસિડ પી આપઘાત
રાજકોટ તા. ૮: શાપર વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં અને ત્યાં જ આવેલા કારખાનામાં પગીપણું કરતાં મોહમ્મદભાઇ હસનભાઇ બ્લોચ (ઉ.૮૫) નામના વૃધ્ધે રવિવારે બપોરે એસિડ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. માનસિક બિમારીને કારણ આમ કર્યાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.
ખીરસરાનો જયેશ સાગઠીયા ઝેર પી ગયો
લોધીકાના ખીરસરામાં રહેતો જયેશ દેવશીભાઇ સાગઠીયા (ઉ.૨૪) નામનો વણકર યુવાન ગામમાં ઝેર પી જતાં રાજકોટ ખસેડાયો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને કારખાનામાં મજૂરી કરે છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં લોધીકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.