રાજકોટ
News of Friday, 8th June 2018

રાહુલ ગમે ત્યારે દાદાગીરી કરતો, બુધવારની રાતે પણ ગાળો દીધી'તી...તક જોઇ ઢાળી દીધોઃ કમલેશની કબુલાત

હત્યા કરનાર કમલેશ ઉર્ફ લાલુ પરમારને હત્યા કર્યાનો કોઇ અફસોસ નથી : જ્યારે હોય ત્યારે સીન જમાવી લેતો એ ગમતું નહિઃ છ મહિનાથી તકરાર ચાલતી હતીઃ રિમાન્ડ માંગણી સાથે સાંજે કોર્ટમાં રજૂ કરાશે

હત્યાના આરોપસર પકડાયેલો કમલેશ ઉર્ફ લાલુ પરમાર તથા એડી. ડીસીપી હર્ષદ મહેતા, પી.આઇ. પી. બી. શાપરા, પીએસઆઇ એમ. જે. રાઠોડ અને ટીમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: જામનગર રોડ સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટરમાં રહેતાં રાહુલ હરિશભાઇ પરમાર (ઉ.૨૦) નામના વાલ્મિકી યુવાનને ગઇકાલે વહેલી સવારે ઘર નજીક રામાપીર મંદિરના પ્રાંગણમાં છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દેવાના બનાવમાં પોલીસે કમલેશ ઉર્ફ લાલુ કાળુભાઇ પરમાર (ઉ.૧૯)ને દબોચી લઇ છરી કબ્જે લીધી છે. આ શખ્સે નિંદ્રાધીન રાહુલને છરીના સોળ જેટલા ઘા ઝીંકી દીધા હતાં અને પોલીસને અવળે રસ્તે ચડાવવા બીજા એક શખ્સે હત્યા કર્યાની સ્ટોરી ઘડી કાઢી હતી. પરંતુ તપાસમાં સત્ય સામે આવ્યું હતું. કમલેશે કબુલ્યું હતું કે તેને છએક મહિનાથી રાહુલ સાથે તકરાર ચાલતી હતી. રાહુલ જ્યારે હોય ત્યારે સીનસપાટા કરી દાદાગીરી કરતો અને તેના કામ કરવા પોતાને હુકમ કરતો હતો. આ બાબતે અગાઉ પોતાને મારકુટ કરી હોઇ તેના પર સતત ગુસ્સો રહેતો હતો. બુધવારે રાતે પણ તેણે સામે જોઇ કાતર મારી ગાળો દેતાં પોતે રોષે ભરાયો હતો અને તે મંદિરના પટાંગણમાં સુતો હોઇ તક જોઇ તેના પર તુટી પડ્યો હતો.

હત્યાની ઘટનાની જાણ થતાં પ્ર.નગરના ઇન્ચાર્જ પી. બી. શાપરા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, એમ. એસ. ગોસાઇ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિરભદ્રસિંહ, અરવિંદભાઇ મકવાણા, મહોસીનખાન, જયદિપભાઇ ધોળકીયા, હેમેન્દ્રભાઇ, જયેન્દ્રસિંહ સહિતની ટીમ દોડી ગઇ હતી. પ્રારંભે રાહુલને જેની સાથે લાંબા સમયથી માથાકુટ ચાલતી હતી તે રોહિત ગડિયલનું નામ આપી દેવાયુ હતું. પણ પોલીસને કમલેશ ઉર્ફ લાલુ પોતે જ શકમંદ જણાતાં તેની આગવી પુછતાછ કરતાં હત્યા કબુલી લીધી હતી. તેણે કહ્યું હતું કે રાહુલ તેના મિત્રો સાથે નશો કરવા બેઠો હોઇ ત્યારે તે પોતાની સાથે દાદાગીરી કરી લેતો અને છ મહિના અગાઉ મારકુટ પણ કરી લીધી હતી. ત્યારથી તેના પ્રત્યે રીશ હતી. બુધવારે રાતે પણ રાહુલ અને તેનો મિત્ર બેઠા હતાં ત્યારે પોતે નીકળતાં રાહુલે કાતર મારી ગાળો દેતાં પોતે સમસમી ગયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.

બાદમાં તેને પતાવી દેવાનું નક્કી કરી ઘરેથી છરી લઇની વહેલી સવારે મંદિરે આવ્યો હતો. એ વખતે રાહુલ મંદિરના પટમાં ભરઉંઘમાં સુતો હોઇ તક જોઇને તૂટી પડ્યો હતો. બાદમાં ઘરે જઇ નિરાંતે સુઇ ગયો હતો. હત્યાનો પોતાને કોઇ અફસોસ નહિ હોવાનું પણ તેણે રટણ કર્યુ હતું. વિશેષ તપાસ માટે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમલેશ કંઇ કામધંધો કરતો નથી. તેના પિતા સફાઇ કામદાર છે. 

(4:07 pm IST)