નાણા રોકાણની અંગે ગ્રામજનોને જાગૃત કરવાની ઝુંબેશ સમાજ સેવા સમાન : ગીતાબા જાડેજા
ગોંડલમાં સેબી મુંબઇ અને જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ દ્વારા યોજાયો નાણા રોકાણ અંગે માર્ગદર્શક સેમીનાર
રાજકોટ : સેબી મુંબઇ દ્વારા જાગૃત ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ રાજકોટના સહયોગથી યોગી સ્મૃતિ હોલ સ્વામીનારાયણ મંદિર, ગોંડલ મુકામે નાણા રોકાણકારોને જાગૃત કરવાએક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંબોધન કરતા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવેલ કે ગ્રામ્યજનો નાણા રોકાણની સલામત યોજનાઓથી સાવ અજ્ઞાન અને અંધારામાં હોય છે. જેથી છેતરપીંડી કરનારાઓ ગામડામાં વધારે ફાવી જતા હોય છે. આવા સંજોગોમાં ગોંડલમાં સેબીનો સેમીનાર ઐતિહાસીક કદમ છે. આવા સેમીનાર મારા મત વિસ્તારમાં ગામડે ગામડે કરવા હું સેબીને આહવાન કરૂ છુ. ગોંડલના પ્રથમ નાગરિક શ્રીમતી મનિષાબેન સાવલીયાએ જણાવેલ કે મહિલાઓ માટેના આવા સેમીનાર આવકાર્ય છે. શ્રીમતી દિપાબેન કોરાટને ગોંડલમાં આવકારવા સાથે અભિનંદન આપેલ. કંપની સેક્રેટરી કુ. પૂર્વીબેન દવેએ મહીલાઓને નાણા બચત કરવા અને રોકાણ કરવા અંગેની વિવિધ ટીપ્સ આપી હતી. બોમ્બે સ્ટોક એકસચેન્જના સીનીયર એકઝીકયુટીવ કાર્તિકભાઇ બાવીસીએ મોબાઇલ એપ્લલીકેશનથી નાણા રોકાણની ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી આપી હતી. શ્રીમતી રીનાબેન મિલનભાઇ ભોજાણી, જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના પ્રમુખ દિપાબેન વી. કોરાટ, માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણીએ કરેલ. માજી સાંસદ રામજીભાઇ માવાણી, અશોકભાઇ કોયાણી, ડો. વસંતભાઇ ગજેરા, પોપટભાઇ પટેલ, રાજુભાઇ ભાદાણી, શ્રીમતી નયનાબેન ધામેલીયા વગેરેએ પ્રાસંગીક પ્રવચન કરેલ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. દિવ્યપુરૂષદાસજીએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.