રાજકોટ
News of Saturday, 8th May 2021

સિવિલમાં સવા વર્ષમાં ૨ લાખથી વધારે RT-PCR ટેસ્ટ થયા

રાજકોટ સિવિલની લેબમાં કામગીરી : સિવિલની લેબ દ્વારા અત્યાર સુધી માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધીમાં ૨૦૪૦૭૨ RTPCR રીપોર્ટ કરવામાં આવ્યા

રાજકોટ,તા. : દર્દી કોરાના પોઝિટિવછે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી કોવિડ-૧૯ આરટી-પીસીઆર લેબોરેટરી  જાણે કોવિડ હોસ્પિલટલનું હદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે.

વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે કે નેગેટિવ આવે તે રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને કામ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત આરટીપીસીઆર લેબોરેટરીના તબીબો અને ટેકનિશિયન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે.

રાજકોટની સિવિલની લેબ દ્વારા અત્યાર સુધીમાં માર્ચ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં ૨૦૪૦૭૨ આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ ૨૦૨૦ થી લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.જેમાં કોરાના અંગેના નમુનાની આરટીપીસીઆર મેથડથી ચકાસણી થાય છે. વર્ષ ૨૦૨૦ દરમ્યાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય,ગીરસોમનાથ જિલ્લો, અને સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી.

 હાલમાં લેબમાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ દૈનિક કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે. આરટી-પીસીઆર લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે.ત્યારબાદ વાઇરસમાં રહેલ આરએનએને અલગ કરવામાં આવે છે.

 ત્યારબાદ પીસીઆર ચેમ્બરમાં અલગ અલગ કરેલ આરએનએને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી કોવિડ-૧૯ વાઇરસ છે કે નહી તે જોવા માટે આરટી-પીસીઆર મશીનમાં બે કલાક મુકવામાં આવે છે. આરટી-પીસીઆર મશીનમાં ગ્રાફ  જોઇને વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે ૬થી૮ કલાક જેટલો સમય લાગે છે.

સમગ્ર પ્રકીયા માટે બાયો સેફટી કેબીનેટ કલાસ ૨એ, આરટીપીસીઆર મશીન, માઇનસ ૨૦ ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા અતિ આધુનિક સાધનોની જરુર પડે છે.

જે રાજય સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવેલ છે. પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી.યુ.કાવઠીયાના જણાવ્યા અનુસાર હાલમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગનું ભારણ ખુબ હોય લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ ૪ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ ૨૪ કલાક રાઉન્ડ કલોક દર્દીઓ માટે સેવા આપે છે.

(8:54 pm IST)