વોર્ડ નં. ૧૮માં પાણીના ધાંધીયાઃ ગૃહીણીઓએ રોષભેર બેડા સરઘસ કાઢયું: શાસકોનું કાર્યાલય બંધ
રાજકોટઃ શહેરની કોઠારીયા વિસ્તારના વોર્ડ નં. ૧૮ની અનેક સોસાયટીઓમાં ત્રણ દિવસથી પાણીના ધાંધીયા સર્જાતા હોઇ સમસ્યાથી ત્રસ્ત ગૃહીણીઓએ આજે સવારે બેડા સરઘસ યોજી શાસક પક્ષ ભાજપ કાર્યાલય બંધ હોવાથી વોર્ડ નં. ૧૪નાં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર નિલેષ મારૂ સમક્ષ રજુઆતો કરી હતી તે વખતની તસ્વીર. આ તકે ગૃહીણીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નં. ૧૮ માં આવેલ રામનગર-રામરણુજા, ભવનાથ સોસાયટી, રાધાકૃષ્ણ જેવી અનેક સોસાયટીમાં અત્યારથી પીવાના પાણીની ખુબ જ તંગી સર્જાય છે. ત્રણ દિવસમાં એક વાર જ પાણી આવે છે. અને એ પણ ફકત ૧પ મીનીટ વોર્ડ નં. ૧૮ ના ઘણા વિસ્તારમાં કચરા માટેની ટીપર વાન પણ આવતી નથી અને આવી અનેક સમસ્યાઓ વોર્ડ નં. ૧૮ માં છે અને મરણના દાખલા આવકના દાખલા માટે કોઇ ઓફીસ ખુલી નથી વોર્ડ નં. ૧૮ ના બધા જ કોર્પોરેટરો અત્યારે આવી મહામારીમાં પ્રજાની વચ્ચે દેખાતા નથી. વોર્ડ નં. ૧૮ અત્યારે સાવ ભગવાન ભરોસે છે. કોઇપણ આરોગ્ય સુવિધા પણ નથી આવા અનેક પ્રશ્નો વચ્ચે પ્રજા રહે છે ત્યારે કોર્પોરેટરની ઓફીસ પણ બંધ છે ત્યારે વોર્ડનાં લોકો કયાં રજૂઆત કરે ? તેવા સવાલો સાથે રહેવાસીઓએ આ વોર્ડમાં પાણી સહિતની સમસ્યાઓ દુર કરવા માંગ ઉઠાવી છે. (તસ્વીર : અશોક બગથરીયા)