સણોસરા ગામના લવજીભાઈ લીંબાસીયાએ ઘરમાં રહી કોરોનાને મ્હાત આપી
રાજકોટ તા.૮: રાજકોટ તાલુકાના સણોસરા ગામના ૬૫ વર્ષના લવજીભાઈ લીંબાસીયાને ગત તા. ૭ના રોજ તાવ અને નાબળાઇ લાગતા તેઓ એ સ્વજાગૃતિ દાખવી ગ્રામમાં આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ કોરોના ટેસ્ટ કરતા તેઓ પોઝીટીવ આવ્યા. તેઓ ચિંતામાં મુકાયા પરંતુ પ્રા. આ. કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. પટેલે હિંમત આપી અને તેઓને ગંભીર લક્ષણો ન હોય તો કોરોનાનો ઇલાજ ઘરે રહીને પણ શકય હોવાનું જણાવી તેમને ૧૪ દિવસ સુધી ઘરે આઈસોલેશન માટેની સમજ આપી હતી.આ સાથે તેઓએ હોમ આઇસોલેશન દરમિયાન લેવાની થતી જરૂરી દવાઓ અને રોગ પ્રતિકાર શકિત વધારતા આહારનું ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું.
લવજીભાઇ જણાવ્યું કે હોમ આઇસોલેશન દરમિયાન ઘરે તેમને નિયમિત રીતે આરોગ્ય વિભાગના કાર્યકર, આશા બહેન દ્વારા નિયમિત તપાસ કરાતી હતી. મજબૂત મનોબળના કારણે માત્ર એક અઠવાડિયામાં તેઓ સંપૂર્ણ સાજા થઈ ગયા હતા.પરંતુ પુરા ૧૪ દિવસ કોવીડના નિયમોનું તેઓએ પાલન કર્યું જેથી ઘરમાં બીજા કોઈ વ્યકિત કોરોના પોઝિટિવ ન થયા.