સદ્ગત સાવલીયા જીબીઆમાં ૧૦ વર્ષથી કાર્યરત હતાઃ રાજકોટ-મોરબી માટે ૮૦૦ કરોડનો માસ્ટર પ્લાન મંજૂર કરાવેલ
એસો.ના હજારો મેમ્બરોને આવા ઉમદા વ્યકિતની ખોટ પડશે
શ્રી આર.બી. સાવલીયા, જનરલ સેક્રેટરી, જેટકો, જીઈબી એન્જીનીયર્સ એસો.માં છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત હતા. સંનિષ્ઠ, સમર્પિત, સાહસિક, પ્રમાણિક વ્યકિતત્વ ધરાવતા હતા. ઊર્જા ક્ષેત્રમાં ખૂબ ઉંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતા હતા. રાજકોટ અને મોરબી વિસ્તારમાં ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે આશરે ૮૦૦ કરોડ રૂ.નો માસ્ટર પ્લાન બનાવી કંપની અને સરકારશ્રીમાંથી મંજુરી મેળવી તે મુજબ કામગીરી કરી ખૂબ મોટું કાર્ય વીજક્ષેત્રે કરેલ. કંપનીમાં પણ ખૂબ પ્રમાણિકતાથી સંનિષ્ઠ પાયે સારી કામગીરીઓ તેમના દ્વારા કંપની/ રાજ્યના હિતમાં કરવામાં આવેલ.
જીઈબી એન્જીનીયર્સ એસો.ના મેમ્બરો તથા ઉર્જાક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓના હક્ક-હિસ્સા માટે તેઓ સતત કામગીરી કરતા. ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિના સંયોજક હતા. ઓલ ઈન્ડીયા પાવર એન્જીનીયર્સ ફેડરેશનના તેઓ સેક્રેટરી હતા. ઊર્જાક્ષેત્રમાં ખૂબ વિશાળ જ્ઞાન તેઓ ધરાવતા હતા. જેટકો સ્ટાફ સેટઅપની મંજુરી માટે સતત આઠ વર્ષ મહેનત કરીને સરકારશ્રીમાંથી મંજુરી મેળવેલ, જે વર્ષો સુધી સૌને ફાયદારૂપ થશે અને તેમને યાદ કરશે.
જીઈબી એન્જીનીયર્સ એસો.ના ઘણા પ્રશ્નોમાં રસ લઈ ઉકેલ લાવવામાં તેમનો સિંહફાળો રહેલ. કર્મચારીઓના પ્રશ્નોને લઈને તેઓ સતત કંપનીમાં - સરકારશ્રીમાં રજૂઆતો કરતા અને નિરાકરણ લાવતા.
આવા એક ઉમદા વ્યકિતની એસોસીએશનને - હજારો મેમ્બર્સને ખૂબ મોટી ખોટ પડશે. વર્ષો સુધી તેમની કામગીરી સૌ યાદ કરશે.
આજરોજ તા. ૮-૫-૨૧ શનિવારના રોજ તેમનુ અવસાન થયેલ હોય તેમના પવિત્ર આત્માને ઈશ્વર શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની ઈશ્વર શકિત આપે તેજ પ્રાર્થના સાથે.. ઓમ શાંતિ...શાંતિ...
- બી.એમ. શાહ
સેક્રેટરી જનરલ - જીબીઆ-રાજકોટ