રાજકોટ
News of Saturday, 8th February 2020

સરકારી મિલ્કતોનો રપ૦ કરોડનો વેરો કયારે વસુલાશે ? અતુલ રાજાણી

સામાન્ય નાગરિકોને વેરા વસુલાતના નામે ખોટી હેરાનગતીને બદલે સરકારી લેણા વસુલાતને પ્રાયોરીટી જરૂરી : વિપક્ષી દંડકનું કમિશ્નરને સુચન

રાજકોટ તા.૮ : શહેરનાં સામાન્ય નાગરિકોને વેરા વસુલાતના નામે ખોટી કનડગત બંધ કરીને સૌ પ્રથમ સરકારી મિલ્કતોનો રપ૦ કરોડ જેટલો બાકી વેરો વસુલવા વિપક્ષ કોંગ્રેસના દંડક અતુલ રાજાણીએમ્યુ.કમિશ્નરને સુચન કર્યું છે.

આ અંગે શ્રી રાજાણીએ મ્યુ.કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્વારા જાણે 'વેર'ની વસુલાત કરવા નીકળ્યા હોયતેમ 'વેરા'ની વસુલાત કરવામાં આવી રહી છે અને પ્રતિષ્ઠિત વેપારી મહાજનો કારખાનેદારો, મધ્યવર્ગીય ગૃહસ્થો વિગેરેને બાકીદાર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. જયારે રાજકોટમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર હસ્તકના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમોની કચેરીઓ વિગેરેનો કરોડો રૂપિયાનો મિલ્કત વેરો વર્ષોથી બાકી છે જેની સંપૂર્ણ વસુલાત થઇ જાય તો આસાનીથી રૂ.રપ૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ થઇ જાય છે તેમ છતાં સરકારી વિભાગોનો વેરો વસુલવા કોઇ જ કાર્યવાહી કરાતી નથી આવુ શા માટે ? તેનો જવાબ જાહેર જનતાને આપશો.

શ્રી રાજાણીએ વેરા વસુલાત માટેના ૧ર સુચનો રજુ કર્યા  છે.

જેમાં (૧) રાજકોટમાં રેલ્વે, પીજીવીસીએલ, ઇન્કમટેકસ, ઓડિટર જનરલ ઓફીસ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ તંત્ર, ન્યાય તંત્ર, જીએસટી વિભાગ સહિતની તમામ કચેરીઓનો બાકી વેરો ટોપ પ્રાયોરીટીમાં વસુલો તેમના સંબંધિતોને નોટીસ આપો, કચેરીઓ સીલ કરો, મિલ્કત જપ્ત કરો અને છતાં ન ભરે તો હરાજીથી મિલ્કતો વેચવા મુકો !

(ર) રાજય અને કેન્દ્ર સરકારની કચેરીઓના નળ કનેકશન અને ડ્રેનેજ કનેકશન કપાત કરો.

(૩) બાકીદારો વેરો ચુકતે કરી દે તેવા સંજોગોમાં રીકવરીની સારી કામગીરી દેખાડવા કરાતી જાહેર પ્રસિધ્ધી બંધ કરો. વેરો ચુકતે કરનારના નામો જાહેર કરવાનું બંધ કરો.

(૪) મિલ્કત સીલ થાય અને બાકીદાર તુરંત વેરો ચુકતે કરી દે અને સીલ ખુલી જય તેવા કિસ્સામાં મિલ્કત સીલ થયાનું જાહેર કરી મિલ્કત ધારકને બદનામ કરવાનું બંધ કરો.

(પ) કોઇપણ મિલ્કતની વેરા વસુલાત કેટલા વર્ષથી થઇ નથી તે મુજબ મતલબ કે પાંચ વર્ષ, દસ વર્ષ, પંદર વર્ષ, વીસ વર્ષ તે મુજબ વર્ષના સમયગાળા મુજબનો ડેટાબેઝ બનાવી રીઢા વર્ષો જુના બાકીદારો સામે ટોપ પ્રાયોરીટીમાં પગલા લ્યો.

(૬) મિલ્કત વેરાની બાકી રકમ મુજબ નહીં પરંતુ કેટલા વર્ષથી વેરો બાકી છે. ? તે ગણતરી મુજબ કાર્યવાહી કરાવો.

(૭) મીલ્કત ધારક પાર્ટ પેમેન્ટ (પ૦ ટકા રકમ) સ્થળ ઉપર ચુકવવા તૈયાર હોય તો સીલ મારવાનો દુરાગ્રહ ન રાખો. પ૦ ટકા રકમ સ્થળ પર સ્વીકારી બાકી રહેતી   રકમના હપ્તા કરી આપો.

(૮) મિલ્કત વેરા બિલમાં નામ ટ્રાન્સફરની જોગવાઇઓ વધુ કડક બનાવો, મિલ્કતનો માલિકી હકક ફેરબદલ થયા બાદ વેરા બિલમાં નામ ટ્રાન્સફરની સમય મર્યાદા જાહેર કરો. નિશ્ચીત સમય મર્યાદામાં નામ ટ્રાન્સફર નહીં કરાવનાર માટે મોટી રકમના દંડની જોગવાઇ કરો. (હાલમાં અનેક મિલ્કતો વર્તમાન માલિકના બદલે જુના માલિકોના નામે રેકર્ડ પર છે.  આવા કિસ્સામાં બાકીદાર કોઇક હોય છે અને બદનામ અન્ય કોઇક થાય છે...!) નવા બિલ્ડીંગના કિસ્સામાં નામ ટ્રાન્સફર માટે બિલ્ડરને જવાબદારી ફીકસ કરો.

(૯) દરેક મિલ્કત ધારકના મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી પણ ખાસ મેળવવાનો આગ્રહ રાખી તેનો ડેટાબેઝ જનરેટ કરો તેમજ તેનો રિકવરી માટે ઉપયોગ કરો જે મિલ્કત ધારક પોતાના મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી રજીસ્ટર કરાવે તેને ૧ ટકા વિશેષ વેરા વળતર આપો.

(૧૦) ટેકસ બ્રાન્ચના રેકર્ડમાં હાલ અનેક મિલકતો 'ઓનરશ્રી', 'બિલ્ડરશ્રી', 'પાર્ટનરશ્રી' જેવા નામે છે તેવી મિલ્કતોના મુળ માલિકોને શોધવાની કામગીરી વર્ષના ૧ર મહિના દરમિયાન સતત ચાલુ રાખવા રિકવરી સેલને કામ સોંપો. સંબંધીત વર્તમાન માલિકોને શોધી તેમને દંડ ફટકારી તેમના નામે મિલ્કત ટ્રાન્સફર કરો.

(૧૧) ડિમોલેશન થઇ ગયેલી અનેક મિલ્કતો હજુ પણ ટેકસ બ્રાન્ચના રેકર્ડ પર છે તેવી મિલ્કતો અસ્તિત્વમાં જ નથી ! છતાં તે મિલ્કતો પેટેનો વેરો રેકર્ડ પર બાકી બોલે છે. આથી તેવી મિલ્કતો અને બાકી વેરો માંડવાળ કરો.

(૧ર) શહેર વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ પરનો વેરા વધારો અને તેની વસુલાત વધુ સઘન બનાવો તેવી માંગણી છે.

(3:36 pm IST)