રાજકોટ
News of Saturday, 8th February 2020

દુકાન પડાવી લેવા ખોટી ભાડાની પહોંચ સહિતના ખોટા દસ્તાવેજો રજૂ ખોટા દસ્તાવેજો રજૂ કરાતા ફોજદારી ફરીયાદ

રાજકોટ, તા. ૮ : શહેરના યાજ્ઞીક રોડ, બીઝનેશ ટર્મીનલ, દુકાન નં.૧૩૦, અલ્ટીમેટ સેલ્સ એન્ડ સર્વીસવાળી દુકાનમાં સગી માતા દ્વારા પુત્રની દુકાન પડાવી લેવા ખોટી ભાડાની પહોંચો અને કબજો બતાવવા ખોટા પેપર્સ રજી કરી તેમજ તેનો દાવામાં ખોટો ઉપયોગ કરતા ફોજદારી ફરીયાદ કરવામાં આવી છે.

આ ફરીયાદની ટુંકમા હકીકત એવી છે કે, ફરીયાદી - કલ્પેશભાઇ ધનરાજભાઇ વારીયાએ તેમના માતુશ્રી અંજનાબેન ધનરાજભાઇ વારીયા તથા ભાઇ - પ્રેરકભાઇ ધનરાજભાઈ વારીયા સામે રાજકોટના મહેરબાન ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી સમક્ષ ફરીયાદ કરેલ અને તેમાં આરોપીએ ફરીયાદીની માલીકીની દુકાન કે જે યાજ્ઞીક રોડ, બીઝનેશ ટર્મીનલ, દુકાન નં.૧૩૦, અલ્ટીમેટ સેલ્સ એન્ડ સર્વીસવાળી દુકાન આવેલ છે જે દુકાન ફરીયાદીએ બેંકમાંથી લોન લઇ પોતાના નામથી ખરીદ કરેલ છે. તે દુકાનના ખોટા કબજા ઉભા કરવા અને પુરાવામાં તેનો ખોટો ઉપયોગ કરવા રાજકોટની દિવાની અદાલતમાં દિવાની કેસ નં.૩૦/૨૦ર૦ થી રજુ રાખેલ જેમાં દુકાનના ભાડુઆત તરીકે કબજો દર્શાવવાના હેતુથી સગી માતા અંજનાબેને પોતે માલીક ન હોવા છતાં પોતાના પુત્ર એટલે કે આરોપી નં.ર પ્રેરકભાઇ ધનરાજભાઈ વારીયાની તરફેણમાં એક જ દિવિસે કોરા કાગળોમાં ભાડાની પહોચો બનાવી અને ફરીયાદીની માલીકીની દુકાનમાં પુત્ર પ્રેરક ભાડે હોય તેવુ દર્શાવી અને તે પહોચો પણ વર્ષનુ માસીક ભાડુ રૂમ.૨૦૦૦ દર્શાવી જાન્યુઆરી-૨૦૦૯ થી જાન્યુઆરી-૨૦૨૦ સુધીની ભાડા પહોચો કોરા કાગળમાં હાથે લખીને અને પોતાના પુત્રને ભાડુઆત દર્શાવી તેમજ રાતોરાત દુકાનનું સાઇન બોર્ડ ઉતરાવી અને પ્રેરકના નામવાળુ બોર્ડ ચડાવી અને ત્યારબાદ સદરહુ દાવામાં આરોપી પ્રેરક ભાડે હોવાનું દર્શાવી અને કાયદેસરની કાર્યવાહી કર્યા વિના દુકાન ખાલી કરે/કરાવે નહીં તેવો દાવો રાજકોટની દિવાની અદાલત સમક્ષ લાવી અને તે દાવામાં આ ખોટી હાથે ઉભી કરાયેલી ભાડાની પહોચો તેમજ જુદા જુદા પેપર્સો રજુ રાખેલ અને તેમાં મનાઇ હુકમની માંગણી કરતા અને તેની નોટીસ ફરીયાદીને મળતા અને દાવામાં રજુ થયેલા દસ્તાવેજો અને તેમાં રજુ થયેલ ભાડાની પહોચો જોતા ફરીયાદીને અચરજ લાગેલ અને કયારેય દુકાનના ભાડુઆત તરીકે પોતાના માતુશ્રીને સતા આપેલ નથી કે ભાડા તરીકે ઉપયોગ કરવામાં આવતી નથી અને તેમા ફરીયાદી પોતે મોબાઇલ લે-વેચનો ધંધો કરતા હોય અને આવી ભાડાની પહોચો ઉભી કરી અને ભાડુઆત તરીકે કબજો દર્શાવી અને ફરીયાદીને જ નહી પરંતુ દિવાની અદાલતના શ્રીને પણ છેતરવા પ્રયત્ન કરવામાં આવેલ હોય અને સામાન્ય રીતે ભાડા કે ભાડુઆતને કોર્ટ દ્વારા રક્ષણ મળી શકે કે તેના કબજાનુ રક્ષણ થઇ શકે તેવી બદદાનતથી કોર્ટ સમક્ષ હુકમ મેળવવા પ્રયત્ન કરવામાં આવેલ હોય એટલે કે પુરાવામાં ખોટા દસ્તાવેજો રજુ કરી ખોટા એકરારનામા રજુ કરી અને ગેરકાયદેસર હુકમો મેળવવા પ્રયત્નો કરતા ગંભીર ફોજદારી કૃત્યો ગણાવી શકાય તેવા કૃત્યો સગી માતા અને ભાઈ દ્વારા કરવામાં આવતા આ અંગે ગંભીરતાથી તપાસ કરવા અને અદાલત પાસેથી ખોટા હુકમો પ્રાપ્ત કરે નહિં અને તેવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરે નહી જે હેતુથી ફરીયાદીએ ઇ.પી.કો. કલમ - ૧૯૩, ૧૯૬, ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૪૦૬, ૪૨૦ વગેરે મુજબ ગંભીર સજાનેપાત્ર ગણાવી શકાય તેવા કૃત્યો બદલ ફરીયાદ કરેલ છે. આ ફરીયાદ નામદાર કોર્ટે ગંભીરતાથી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ શ્રી જતીન ડી. કારીયા, દિવ્યરાજસિહ એન. જાડેજા ચિરાગ એસ. કારીયા, સંદિપ જી. વાડોદરીયા તથા ભરત કે. પરમાર રોકાયેલ છે.

(3:34 pm IST)