રાજકોટ
News of Wednesday, 8th January 2020

વાંચે ગુજરાતઃ રપ મીથી બુક ફેર - લીટરેચર ફેસ્ટીવલનો પ્રારંભ

ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે દેશભરના નામાંકીત રપ૦ પુસ્તકોના સ્ટોલઃ પુસ્તક મેળામાં ફુડ કોર્ટ, સેલ્ફી પોઇન્ટ, કલા સાહિત્ય, ડીજીટલ સહીતના સ્ટોલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે ઉદઘાટનઃ પુસ્તકપ્રેમીઓ માટે મેળાવડોઃ ખરીદી પર ર૦ ટકાનું વળતર

રાજકોટ, તા., ૮: રાજકોટના આંગણે તા.રપ થી ર૯ જાન્યુઆરીના ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં શ્રેણીબધ્ધ પુસ્તકોનો મેળો યોજવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન આયોજીત સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલ  પુસ્તક પ્રેમીઓ માટે યાદગાર બની રહેશે.

ગુજરાત સરકારનાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત તા.રપ થી ર૯ જાન્યુઆરી ર૦ર૦ દરમ્યાન યોજાઇ રહેલ ભવ્ય શબ્દ મહોત્સવનાં દ્વિતીય સંસ્કરણનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદઘાટન થશે. ફુટ કોર્ટ, બાળકો માટેનાં વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોઇન્ટસ, કલા સાહિત્ય સમાજ જીવનનાં વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ, સૌરાષ્ટ્રન ઝાંખી કરાવતું પેઇન્ટીંગ સહીતનાં પુષ્કળ આકર્ષણ કેન્દ્રો સાથે આજ વખતનો બુકફેર ફરી એક વખત ઝળહળી ઉઠશે.

સમગ્ર ગુજરાતભરનાં વિખ્યાત પ્રકાશકોનાં રપ૦ થી પણ વધુ બુક સ્ટોલ તથા કલા, સાહિત્ય અને સમાજ જીવનમાં અગ્રણી ગણાતા પુષ્કળ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહત્વની વાત એ છે કે બુક ફેરના તમામ બુકસ્ટોલ પર વાચકો ર૦ ટકાના વળતર સાથે મનગમતા પુસ્તકોની ખરીદી કરી શકશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનનાં સંયુકત ઉપક્રમે આયોજીત સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલનો શુભારંભ આગામી તારીખ રપ થી ર૯ જાન્યુઆરી, ર૦ર૦ દરમ્યાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે થશે. રપ જાન્યુઆરી ર૦ર૦ શનીવારે સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સંત શ્રી પૂજય રમેશભાઇ ઓઝાની વિશેષ ઉપસ્થિતિ સાથે સૌરાષ્ટ્ર બુક ફેર અને લીટરેચર ફેસ્ટીવલની શુભ શરૂઆત થશે.

કાર્યક્રમમાં ખાસ આમંત્રીત સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.

મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અરવિંદભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશીષભાઇ વાગડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નીતીનભાઇ પેથાણી, વાઇસ ચાન્સેલર વિજયભાઇ દેશાણી, રજીસ્ટ્રાર તમામ સિન્ડીકેટ સભયોની આગેવાની હેઠળ એકેડેમીક કાઉનસીલના સભ્યો, સેનેટ સભ્યો, તમામ પ્રિન્સીપાલો, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સભ્યો આ બુકફેરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહયા છે.

શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ ગણાતી સૌરાષ્ટ્રની ધરા ફરી એક વાર અનન્ય એવા લીટરેચર ફેસ્ટીવલનાં રંગે રંગાવા જઇ રહી છે. સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા શબ્દ મહોત્સવમાં અલગ-અલગ પ્રકારના વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્જન વર્કશોપ, સાહિત્ય તરવરાટ સંધ્યા, શબ્દ સંવાદ, કિડસ વર્લ્ડ, ઓથસ એન્ડ એન્ટરપ્રિયોન્રશીપ કોર્નર ઉપરાંતના અનેક સેસન્સ થકી સાહીત્ય કલા પ્રેમીઓની તૃષા સંતોષવા માટેનાં કાર્યક્રમો ગોઠવાયા છે.જેમાં ગુજરાતભરમાંથી પોતપોતાના ક્ષેત્રનાં નિષ્ણાંતો તેમજ વકતાઓ હાજરી આપશે. આર.આર.શેઠ, નવભારત સાહિત્ય મંદિર વગેરે જેવા વિખ્યાત પ્રકાશકોનાં રપ૦ થી પણ વધુ બુકસ્ટોલ, ઓથર્સ કોર્નર, ફુડકોર્ટ, બાળકો માટેના વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોઇન્ટસ, કલા-સાહિત્ય -સમાજ જીવનનાં વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઇન્ટીંગ સહીતનાં પુષ્કળ આકર્ષણ કેન્દ્રો સાથે આગામી પાંચ દિવસનો સમય સૌરાષ્ટ્રની જનતા માટે તહેવાર સમાન પુરવાર થશે. આગામી દિવસોમાં કાર્યક્રમો અંગેની વધુ વિગતવાર માહીતી પુરી પાડવામાં આવશે.

ગુજરાત રાજય અને રાજકોટ શહેરના તમામ માંધાતાઓ ઉપરાંત રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, ઇવેન્ટ કો-ઓર્ડીનેટર નિલેશભાઇ સોની તરફથી સૌ કોઇ ભાવીકોને આ પ્રસંગે તમામ કાર્યક્રમોમાં પધારવા માટે અનુરોધ કરેલ છે.

(4:30 pm IST)