ભકિતનગર સર્કલ વિસ્તારમાં ગંદકીના ગંજ : લોકો ત્રાહીમામ
આ સમસ્યા તાકીદે ઉકેલવા કોંગ્રેસના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત
રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪માં આવેલ ભકિતનગર સર્કલ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે આ સમસ્યા તાકીદે ઉકેલવા કોંગી અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવ્યું હતું કે શહેરભરમાંથી કચરાપેટી મુકત રાજકોટ બનાવવાની લ્હાયમાં શહેરમાંથી રર૦ મસમોટી લોખંડની કચરાપેટી ઉપાડી લઇ કન્ડમમાં જવા દીધી જેમાં અનેક જગ્યાએ જયાંથી કચરાપેટી ઉઠાવી લીધી તે જગ્યાએ લોકો રોજબરોજ ગંદકી, એઠવાડ, કચરો ઠાલવી તે સ્થળને ઉકરડો બનાવી દેતા હતાં અને શાસકોએ આવા ઉકરડા અંગે સર્વે કરાવી ન્યુસન્સ પોઇન્ટ જાહેર કર્યા અને આવા ન્યુસન્સ પોઇન્ટ પર દૂર કરાયા છે એવો દાવો કર્યો, પરંતુ હકીકતમાં આ દાવો પોકળ હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો.