હેલ્મેટ મુદ્દે સરકાર ફેરવિચારણા કરે
તંત્રીશ્રી,
સરકાર હેલ્મેટ મુદ્દે જે પ્રકારનું જીદ્દી અને જકકી વલણ અખત્યાર કરી રહી છે તે વલણ જો શિક્ષણ, આરોગ્વ્ય, બેરોજગારી બાબતે રાખે તો ગુજરાતમાં રામરાજય આવી જાય. લોકોની વ્યક્તિગત સુરક્ષાનો ઠેકો સરકારે લેવો જ હોય તો એવા ઘણા કામો છે કે જે સરકારે ઘણા વહેલા કરવાની જરૂર હતી. વાહન ચાલકો પુખ્ત છે સમજદાર છે. દરેકને પોતાની સલામતિની ચિંતા હોય જ છે. ત્યારે આ રીતે ફરજીયાત હેલ્મેટ પહેરાવવાની વાત સમજાય તેવી લાગતી નથી. સરકાર અપીલ કરી શકે કે સમજાવી જરૂર શકે! પરંતુ આ રીતે ફરજીયાત હેલ્મેટ પહેરાવવા બળજબરી થાય તે વાત યોગ્ય નથી. હેલ્મેટ સાથે ઘણા વાસ્તવિક પ્રશ્નો જોડાય જતા હોય છે. લગ્ન પ્રસંગ, બેસણા- ઉઠમણાનો પ્રસંગ કે પછી મીટીંગમાં જવાનું થાય ત્યારે હેલ્મેટ સાચવવાનો પ્રશ્ન સતાવે છે. સ્કુલે જતા નાના બાળકોને તેડવા જતી મહીલાઓએ બાળકોને સાચવવા કે હેલ્મેટને સાચાવવા? શહેરી વિસ્તારમાં ટુ વ્હીલરની સ્પીડ જ એટલી વધુ નથી હોતી કે અકસ્માત થાય. અકસ્માત માટે અન્ય ઘણા કારણો જવાબદાર હોય છે. તો પછી શહેરી વિસ્તારને હેલ્મેટમાંથી મુક્તિ મળવી જ જોઇએ. આ બાબત સરકારે વહેલાસર ફેર વિચારણા કરે તે ઇચ્છનીય રહેશે. અન્યથા લોકરોષનો સામનો કરવા તૈયાર રહે.
- ભાવેશ આચાર્ય મો.૯૪૨૭૨ ૧૪૭૭૨