કરણસિંહજી હાઇસ્કુલના પ્રિન્સીપાલ અશોકભાઇ સેતાનું વિદાયમાન
રાજકોટ : શિક્ષણમાં કરણસિંહજી હાઇસ્કુલના ૧૦૮ના ઉપનામથી જાણીતી પ્રિન્સીપાલ અશોકભાઇ સેતા વય નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો. જેમાં મહાનુભાવોએ દિપપ્રાગટય કરી શ્રીફળ પડો અને માં સરસ્વતીની મુર્તિ સેતાભાઇને અર્પણ કરી. સમારોહમાં રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરી દેવીજીએ પોતાના ઉદબોધનમાં સ્વ.રાજકુમાર કરણસિંહજીની યાદ તાજી કરી પ્રિન્સીપાલ સેતાભાઇને સાચા અર્થમાં કર્મયોગી ગણાવી કરણસિંહજી હાઇસ્કુલના વિકાસનો શ્રેય આપ્યો હતો અને સ્મૃતિરૂપે રાજકુમાર કરણસિંહજીની ભવ્ય પ્રતિમા રાજવી પરિવાર તરફથી શાળાને ભેટ આપી હતી. આ પ્રસંગે પૂર્વ નાયક નિયામક વી.વી.ભેસદડીયાએ સેતાભાઇને કર્તવ્યનિષ્ઠ અને મૃદુભાશી વ્યકિત તરીકે ગણાવ્યા. વિદાય કાર્યક્રમનું ખાસ શાળા પરિવારએ બનાવેલી સેતાભાઇના જીવન ઝરમર પર બનાવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ આકર્ષણ રૂપ બની. કાર્યક્રમમાં સરકારી શિક્ષકસંઘના પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલાએ સેતાભાઇને માત્ર સફળ પ્રિન્સીપાલ જ નહી પરંતુ તેમને સંઘ શિક્ષક અને વિદ્યાર્થીના હિતમાં હંમેશા નિષ્પક્ષ નીડર અને અજાત શત્રુ સમાન ગણાવી શિક્ષણમાં ૧૦૮નુ બિરૂદ મળેલ છે તે ખરા અર્થમાં સાર્થક કરેલ છે. તેમજ પ્રા. શિક્ષણાધિકારી શ્રી વ્યાસે સેતાભાઇને દરેક આચાર્ય માટે પ્રેરણાદાઇ અને પથદર્શક ગણાવ્યા હતા. વિદાયનો પ્રતિભાવ આપતા અશોકભાઇ સેતાએ જણાવ્યુ હતુ કે, કરણસિંહજી હાઇસ્કુલ મારા માટે કર્મભૂમી છે અને તેને મે કર્મ નિષ્ઠા થી કરી શિક્ષક, વિદ્યાર્થી અને વહીવટી સ્ટાફને મારૂ પરિવારગણી મારી ફરજ બજાવી છે. જેમાં શાળાના વિકાસમાં હંમેશા વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી તમામ ગ્રાંટનો પારદર્શક વિદ્યાર્થીલક્ષી ઉપયોગ કર્યો છે તેનો મને આનંદ અને ગૌરવ છે. સર્વનો સહકારનો હુ ઋણી સ્વીકાર કરી આભાર માનુ છુ. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી વકતવ્ય આપતા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે સેતાભાઇ વય નિવૃત થતા માત્ર કરણસિંહજી હાઇસ્કુલને જ નહી પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ ખોટ પડશે તેમ જણાવી કુશળ વહીવટ કરતા અને આગવી સુજબુજ વાળા તેમજ હંમેશા દોડતા રહેતા કર્મયોગી ગણાવ્યા હતા. ભવ્ય વિદાય સમારંભ સમારોહને વર્ગ ૧ના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી એરવાડીયા, નાગાણી, બોર્ડ સદસ્ય, વિવિધ મંડળના રાજયસંઘ અને સ્થાનિક હોદ્દેદારો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ વર્ગ ર ના અધિકારી એઇઆઇ સહિત સ્ટાફ મોટી સંખ્યામાં શિક્ષણ જગતના તેમજ સામાજીક, ધાર્મિક સંસ્થાના મહાનુભાવો ઉપસ્થિત રહી સેતાભાઇને ભાવભર્યુ સન્માન આપ્યુ. કાર્યક્રમને સફળ બનાવવા કરણસિંહજી સ્ટાફ પરિવારએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમના અંતે કે.જે.ઠાકરએ આભારવિધી કરી હતી અને કાર્યક્રમનું સંચાલન જીતેન ઉધાસએ કર્યુ હતુ.