રાજકોટ
News of Monday, 7th October 2019

સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરથી જીવન દીપી ઉઠે : ઉર્વશીકુંવરબા

પ્રેમવતી મહિલા મંડળ-ધનશ્યામ કુંવરબા યુવતી મંડળ સામાકાંઠા દ્વારા ત્રિમાસિક સભા યોજાઇ

રાજકોટ : શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગશ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ તથા સ્ત્રીભકતોના ગુરૂપદે બિરાજમાન એવમ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના અધ્યક્ષ પ.પૂ. અ.સૌ. શ્રી ગાદીવાળી માતુશ્રીની શુભ પ્રેરણા તથા આશીર્વાદથી શ્રી પ્રેમવતી મહિલા મંડળ/ શ્રી ઘનશ્યામકુંવરબા યુવતી મંડળ-સામાકાંઠ દ્વારા ત્રિમાસીક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનું ઉદ્ઘાટન પ.પૂ. આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના દ્વિતિય સુપુત્રી પ.પૂ. અ.સૌ. શ્રી ઉર્વશીકુંવરબાના હસ્તે દિપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું.  ઉદ્ઘાટન દરમ્યાન પૂ. અ.સૌ. શ્રી ઉર્વશીકુંવરબાએ જીવનમાં સત્સંગની મહતા જણાવતા કહ્યું હતું કે જીવનમાંજો ચારિત્ર્યનું ઘડતર ચાલુ હશે., સંસ્કારનું સિંચન થયેલું હશે તો જ ખરા અર્થમાં દેશનો વિકાસ કરી શકાય. આ અંગે સર્વે માતાઓને કહ્યું હતું કે તમો દિકરીઓમાં તો સંસ્કાર અને ચારિત્ર્યનું સિંચન કરો જ છો પરંતુ આજના કળિયુગના વાતાવરણમાં દિકરાઓમાં ઘણા કુસંસ્કાર તેમજ ચરિત્ર્યમાં પણ શિથિલતા જોવા મળે છે. તેથી દિકરીઓની જેમ દિકરાઓને પણ ચારિત્ર્યનું ઘડતર થાય તેમજ અન્ય સંસ્કારનું સિંચન થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સૌને જણાવ્યું હતું કે, જેમ દેશની રક્ષા કરવી તે આપણી ફરજમાં આવે છે તેવી જ રીતે સંપ્રદાયના સિધ્ધાંતો, સંપ્રદાયની મર્યાદાઓ આદિકની રક્ષા કરી સંપ્રદાયનો વિકાસ કરવો તે આપણી ફરજમાં આવે છે તેવું સૂચન કર્યુ હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પર્યાવરણના રક્ષણના ઉપલક્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટીક નિષેધ અભિયાન ચલાવ્યું છે તેને બળ આપવા સત્સંગી બહેનો પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાની શપથ લેવડાવી હતી. પર્યાવરણની શુધ્ધિ કરી, સમાજની શુધ્ધિ કરી દેશનો વિકાસ થાય તેવા કાર્યો કરવાની સૌને ટકોર કરી હતી. આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, વોર્ડ નં. પ ના કોર્પોરેટર શ્રીમતી દક્ષાબેન ભેંસાણીયા, વોર્ડ નં. પ ના કોર્પોરેટર શ્રીમતી પ્રીતિબેન પનારા, અખિલ હિન્દ મહિલા પરીષદના પ્રમુખ તેમજ પૂર્વ મેયર શ્રીમતી ભાવનાબેન જોશીપુરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ગુજરાત પ્રમુખ શ્રીમતી નીતુબેન કનારા તેમજ પી. એસ. આઇ. શ્રીમતી કિરણબા જાડેજા હાજર રહ્યા હતાં.  આ સભામાં દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશના સમગ્ર સ્ત્રીભકતોના ગુરૂ સ્થાને બિરાજમાન એવા પ.પૂ. અ. સૌ. શ્રી ગાદીવાળા માતુશ્રી પણ સર્વે સ્ત્રીભકતોના ભાવ અને પ્રેમને વશ થઇને પધાર્યા હતાં. તેમજ તેઓએ શ્રી ઘનશ્યામકુંવરબા બાલીકા મંડળની સ્થાપના કરી હતી. અંતે પૂ. અ. સૌ. શ્રી ઉર્વશીકુંવરબાએ સર્વ સ્ત્રી ભકતોને માતુશ્રી તરફથી ખૂબ ખૂબ બિરદાવ્યા હતા તેમજ શ્રી સ્વામીનારાયણ ભગવાનની આજ્ઞા પાળવાનું સર્વેને બળ મળે એવા પ.પૂ. અ. સૌ. શ્રી માતુશ્રી તરફથી આશિર્વાદ પાઠવ્યા હતાં.

(3:46 pm IST)