ઝોન-૧માં ૧૨૨ ગણપતિ સ્થાપનઃ ૧૦૯ તાજીયા મહોર્રમમાં ફરશેઃ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બંને ધર્મના લોકો વચ્ચે શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કોઠારીયા નાકા ચોકમાં મિટીંગ યોજવામાં આવીઃ ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું
રાજકોટઃ શહેરમાં ૩૧/૮થી મહોર્રમ માસ શરૂ થયો હોઇ અને ૯/૯ તથા ૧૦/૯ના તાજીયા નીકળનાર હોઇ તેમજ ગણપતિ મહોત્સવ પણ ચાલી રહ્યો હોઇ તેને અનુલક્ષીને શહેરના ઝોન-૧ વિસ્તારમાં જાહેર ચોક, સોસાયટી વિસ્તાર, શેરીઓમાં ગણપતિ સ્થાપન હોઇ તેમજ મહોર્રમ નિમીતે સબીલ બનાવવામાંઆવ્યો હોઇ સમગ્ર વિસ્તારમાં બંને ધર્મના લોકો શાંતિપૂર્વક રીતે રહે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલ, એચ.અલ. રાઠોડની સુચના હેઠળ આજીડેમના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ દ્વારા કોઠારીયા નાકા ચોક ખાતે એક મિટીંગનું આયોજન કરાયું હતું. જેમાં ઝોન-૧ના પૂર્વ-પશ્ચિમ વિભાગના એસીપી, આ ઝોનના તમામ પોલીસ મથકના પી.આઇ. તથા અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતાં. શહેરમાં ઝોન-૧માં કુલ ૧૨૨ સ્થળે નાના-મોટા ગણપતિ સ્થાપન થયા છે. તો ૧૦૯ નાના-મોટા તાજીયા, ૧ પંજા સવારી, ૧ અખાડા, ૧૦ ડુલડુલ મળી કુલ ૧૨૧ પ્રતિકો મહોર્રમ નિમીતે ઝોન-૧ વિસ્તારમાં ફરનારા છે. આ વખતે રૂટમાં કોઇ તકલીફ ઉભી ન થાય અને શાંતિ સલામતી જળવાઇ રહે તેમજ અઘટીત ઘટના ન બને તે માટે બંને ધર્મના લોકોને સમજ આપવામાં આવી છે. તેમજ મ્યુ. કોર્પોરેશન અને જીઇબી તંત્રની મદદ માંગવામાં આવી છે. તેમજ અધિકારીઓ, કર્મચારીઓ સતત રૂટ પર ફૂટ પેટ્રોલીંગ કરતાં રહે તે માટે ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે.