વેલનાથપરાના વેલાબાપાના મંદિર પાસે સાપ પકડવામાં નિષ્ણાંત કોળી પ્રોૈઢ શંભુભાઇનું મોત
રાજકોટ તા. ૭: મોરબી રોડ પર વેલનાથ પરામાં રહેતાં અને સાપ પકડવામાં નિષ્ણાંત એવા કોળી પ્રોૈઢનું સર્પદંશથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
વેલનાથપરા-૨૨માં રહેતાં શંભુભાઇ વાલજીભાઇ જાલસણીયા (ઉ.૫૦) સાંજે પાંચેક વાગ્યે ઘર નજીક વેલાબાપાના મંદિર પાસે હતાં ત્યારે સાપે દંશ મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ એન. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ શંભુભાઇ અપરિણીત હતાં અને સાપ પકડવાના કામમાં નિષ્ણાંત હતાં. અગાઉ પણ એક-બે વખત તેમને સાપે દંશ માર્યા હતાં પરંતુ કંઇ થયું નહોતું. આ વખતે દંશ જીવલેણ નીવડ્યો હતો. શંભુભાઇ તેના ભાઇઓથી અલગ એકલા રહેતાં હતાં.