માથે આખુ ચોમાસુ બાકી છે, છતા નર્મદાના નીર મેળવવા પ્રજાના પૈસાનું આંધણ ? : ભટ્ટી-મકવાણા-અનડકટ-મુંધવા
શાસકોએ એવુ કેમ માની લીધુ કે વરસાદ નહીં જ આવે : કુદરત ઉપર ભરોસો ઉઠી ગયો કે શું ?
રાજકોટ તા. ૭ : હાલ ચોમાસુ છે, છતા વરસાદના દિવસોમાં નર્મદાનું પાણી પ્રજાના પૈસે મંગાવીને બુધ્ધીજીવી નેતાઓએ બુધ્ધિનું પ્રદર્શન કરેલ હોવાનું કોંગ્રેસ અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, ગોપાલ અનડકટ, રણજીત મુંધવાએ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.
તેઓએ જણાવ્યુ છે કે અગાઉ જયારે જયારે રાજકોટ માટે નર્મદાન નીર મંગાવવામાં આવતા તે તમામ પાણી મફતમાં આવ્યુ નથી. તેના બીલ લોકોના ડેબે ચડયા છે. સરકારે નર્મદા નીર આપ્યા તેવી મોટી મોટી જાહેરાતો કરી, પરંતુ તેના કરોડો રૂપિયા પ્રજાના ખીસ્સેથી જ ઉધારાશે તેની કોઇને જાણ કરાઇ નહોતી.
વળી હાલ માથે ચોમાસુ છે. વરસાદના દિવસો ચાલી રહ્યા છે. છતાય નર્મદાના નીર મંગાવી પ્રજાના પૈસાનું આંધણ કરવાનું? એવું કેમ માની લેવાય કે વરસાદ નહીં જ આવે. કુદરત ઉપર ભરોસો ઉઠી ગયો કે શું? આ રીતે બુધ્ધિનો ફજેતો કરનાર શાસકોને ભગવાન સદ્દબુધ્ધિ આપે તેવી પ્રાર્થના શ્રી ભટ્ટી, શ્રી મકવાણા, શ્રી અનડકટ, શ્રી મુંધવાએ કરી છે.