રાજકોટ
News of Saturday, 7th July 2018

તોગડિયાના એ.એચ.પી. સંગઠનની રાજકોટમાં ‘વાવણી' કરવાની તૈયારીઃ અષાઢી બીજથી બોણી

‘ઉગાડવાની' જવાબદારી જયંતીભાઇ પટેલના શિરેઃ કાર્યાલય અને કાર્યકરોની પસંદગીનો ધમધમાટ

રાજકોટ, તા. ૭ :. વિશ્વ હિન્‍દુ પરિષદથી અલગ પડયા બાદ ધૂરંધર હિન્‍દુ નેતા ડો. પ્રવીણભાઈ તોગડિયાએ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદની સ્‍થાપના કરી છે. તે એએચપી તરીકે ઓળખાય છે. રાજકોટમાં આ સંસ્‍થાનું માળખુ ગોઠવવાનો સળવળાટ શરૂ થયો છે. વિહિપના પૂર્વ મંત્રી ભરત ઈલેક્‍ટ્રોનીકસવાળા જયંતિભાઈ પટેલ (મો. ૯૮૨૪૨ ૯૨૩૦૩)ને અને તેમના સાથીઓને જવાબદારી સોંપાતા ગતિવિધિ શરૂ થઈ ગયાનું જાણવા મળે છે. ૧૪ જુલાઈએ જગન્નાથજીની રથયાત્રામાં એએચપીના નામથી ફલોટ જોડી નવુ સંગઠન રાજકોટમાં હાજરીના શ્રીગણેશ કરવા માગે છે.

એએચપી હિન્‍દુત્‍વના પાયા પર સંગઠન કરવાના ઈરાદા સાથે રચાયેલ છે. રાજકોટમાં તેના માટે મધ્‍યસ્‍થ કાર્યાલયની શોધ ચાલી રહી છે. થોડા સમય ટોચના હિન્‍દુ આગેવાન રાજકોટની મુલાકાત લઈ ગયેલ. શહેરમાં સંગઠન માળખુ સર્જી શકે તેવા આગેવાનોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ મહિના પછી ડો. તોગડિયા રાજકોટ આવે તેમની હાજરીમાં જ એએચપીનો પ્રથમ ધમાકેદાર કાર્યક્રમ થાય તેવી ગણતરી છે. નવા સંગઠને હાલ માત્ર રચનાત્‍મક કાર્યક્રમો તરફ જ ધ્‍યાન કેન્‍દ્રીત કરવાનું નક્કી કર્યુ છે.

(3:51 pm IST)