પૂ.નમ્રમુનિ મ.સા.નાં સાનિધ્યે સંકલ્પ સિદ્ઘિ સાધનાનો પંચમ તબકકો
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે કાલે
રાજકોટઃ તા.૭, જેમ વર્ષાના આગમનથી ગરમી અને ઉકળાટથી તપતી ધરતી તૃપ્તિનો અનુભવ કરે છે, એવી જ રીતે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી શ્રી સંઘના ભાવિકો રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. આગમનથી પ્રભુવચનોમાં ભીંજાઈને તૃપ્તિનો અનુભવ કરી રહ્યા છે. ભગવાન મહાવીરના શ્રી મુખેથી પ્રગટેલા વચનો આગમ શ્રી આચારાંગ સૂત્રની ૨૧ દિવસિય વાંચણીનો લાભ અનેકાનેક લોકો લઇ રહ્યા છે અને સાથે સાથે પ્રભુ પ્રત્યેની ભકિતરૂપ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની ૨૧ રવિવારીય સંકલ્પ સિદ્ઘિ સાધનાનો પણ ઉત્કૃષ્ટ શ્રદ્ઘાથી લાભ લઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાર્શ્વનાથ પરમાત્માની ભકિત સ્વરૂપ આ સ્તોત્ર રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા. એ આત્મસાત કર્યો છે.અને તેની ૨૧ દિવસીય સંકલ્પસિદ્ઘિ સાધના હજારો ભાવિકોના કષ્ટો, ઉપસર્ગો, અને ઉપાધિનાં નિવારણ કરવામાં નિમિત બની છે. આ ઉપક્રમે પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું હતું કે, જયારે ઉત્કૃષ્ટ શ્રદ્ઘા અને પ્રભુ પ્રત્યેની નિઃસ્વાર્થ ભકિતનો યોગ થાય છે ત્યારે અશુભ કર્મોનો ક્ષય થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ઘિનું આગમન થાય છે. કેટ-કેટલાય ભાવિકોના સંકલ્પો સિદ્ઘ થયા છે અને તેમની આધ્યાત્મિક અને આત્મિક ઉન્નતિમાં પ્રગતિ થઇ રહી છે. ૨૧ દિવસિય સાધનાના પંચમ રવિવારનું આયોજન શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે તા. ૦૮, રવિવારે સવારે ૯ થી ૧૦ રાખવામાં આવ્યું છે અને ૧૦ થી ૧૧ ૨૧ દિવસીય આગમ વાંચનાના સમાપન રૂપે પૂજયશ્રી શ્રી આચારાંગ સૂત્ર પર વાંચણી ફરમાવશે.
શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સાધના અને ત્યારબાદ વાંચણીનો લાભ લેવા શ્રી સંઘ જૈન-જૈનેતરોને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.