ફૂડ ડિલીવરીના કામમાં વ્યસ્ત પતિએ ફોન રિસીવ ન કરતાં જ્યોતિબાએ જિંદગી ટૂંકાવી
ગળાફાંસો ખાઇ લીધોઃ રેલનગરના રૂષીકેશ પાર્કમાં બનાવઃ ત્રણ સંતાનો મા વિહોણા થયા
રાજકોટ તા. ૭: રેલનગર રૂષીકેશ પાર્ક-૩માં રહેતાં જ્યોતિબા અરવિંદસિંહ ઝાલા (ઉ.૩૦) નામના પરિણીતાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા છે.
સાંજે જ્યોતિબાએ આત્મહત્યા કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી નિલેષભાઇ મારફત થતાં પ્ર.નગરના પીએસઆઇ બી. વી. બોરીસાગર અને મહેશભાઇ રૂદાલતાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જ્યોતિબાના લગ્ન અગિયાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.
જ્યોતિબાના પતિ અરવિંદસિંહ ઝાલા રાત્રીના સમયે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને દિવસે પાર્ટ ટાઇમમાં ઝોમેટો કંપનીમાં ફૂડ ડિલીવરીનું કામ કરે છે. જ્યોતિબાએ તેને બે-ત્રણ વખત ફોન કરતાં તે કદાચ ફૂડ ડિલીવરીના કામમાં રસ્તામાં હશે જેથી ફોન ઉપાડી ન શકતાં માઠુ લાગી જતાં તેમણે આ પગલું ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.