રાજકોટ
News of Friday, 7th June 2019

બેભાન હાલતમાં ત્રણના મોત

હૈદરીચોકના હુશેનભાઇ, માનસરોવરના ભગવાનજીભાઇ અને જંગલેશ્વરના સંજયભાઇએ સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૭: બેભાન હાલતમાં વૃધ્ધ, પ્રોૈઢ અને યુવાનના મોત નિપજ્યા હતાં. દૂધ સાગર રોડ પર હૈદરી ચોકમાં રહેતાં હુશેનભાઇ ઉમરભાઇ રાઉમા (ઉ.૬૨) નામના વૃધ્ધ બપોરે ઘરે સુતા બાદ સાંજે પાંચ વાગ્યે પત્નિ ઉઠાડવા જતાં ન ઉઠતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં માતમ છવાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. અન્ય બનાવમાં આજીડેમ ચોકડી પાસે  માનસરોવર સોસાયટીમાં રહેતાં ભગવાનજીભાઇ રામાભાઇ ચંદ્રવાડીયા (ઉ.૫૫) નામના આહિર પ્રોૈઢ સવારે છ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ અને રાજદિપસિંહે આજીડેમમાં જાણ કરી હતી. મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

ત્રીજા બનાવમાં જંગલેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટી-૧૧માં રહેતો સંજયભાઇ બાબુભાઇ વાઘેલા (ઉ.૩૪) રાત્રે ત્રણ વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો.

(3:31 pm IST)