રાજકોટ
News of Thursday, 7th June 2018

પટેલ પરિણીતાના આપઘાત કેસમાં આરોપીઓને ગેરકાયદે ગોંધી રાખવા અંગે પોલીસ અધિકારી સામે ફરિયાદ

ડીસ્ટ્રીકટ કોર્ટના આદેશ મુજબ પોલીસ અધિકારીઓ સામે ઈન્કવાયરી દાખલ કરવા હુકમ

રાજકોટ તા.૭ :ચાર મહિનાના ટુંકા લગ્નજીવનમાં પત્નીએ ગળાફાંસો ખાતા થયેલ ફરિયાદમાં પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવેલ જેમાં મરણજનાર પતિ ચેતનભાઇ બાબુભાઇ ભાવનગરીયા તથા મરણજનાર ના સસરા બાબુભાઇ છગનભાઇ ભાવનગરીયાઓએ પોલીસે સામે ગેરકાયદેસર ગોંધી રાખવાની ફરીયાદ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકકત એવી છે કે , ફરિયાદી ઘનશ્યામભાઇ સાબવા રહે. સમઢીયાળા - તા. બોટાદ વાળાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી. કે તેમની મોટી દીકરી સંગીતાના લગ્ન આજથી ચાર મહિના પહેલા રાજકોટ મુકામે રહેતા ચેતનભાઇ  બાબુભાઇ ભાવનગરીયા સાથે થયેલા જે લગ્ન બાદ લાઠીદડ ગામે સાસરે હતી અને ત્યાથી એકાદ મહિના બાદ તેના પતિ સાથે રાજકોટ મુકામે રહેવા આવેલી હતી અને સંગીતાના સાસુ શારદાબેન, સસરા બાબુભાઇ, નણંદ હર્ષબેન - નણંદોયા જયેશ વેગડ તથા નાની નણંદ દક્ષાબેન તેણીને દહેજ બાબતે મેણા ટોણા મારતા અને કરીયાવર ઓછો લાવી છો તેમ કહી  રાજકોટમાં મકાન લઇ દેવા માટે મારકૂટ કરતા અને અસહ્ય ત્રાસ આપતા આરોપીઓના ત્રાસથી સંગીતાએ તા.૧૪/૦૫/૨૦૧૮ના રોજ રાજકોટ કોઠારીયા સોલવન્ટ ઓમકાર સ્કુલની સામે આસોપાલવ સોસાયટી ખાતે આવેલ તેના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરેલ હતો.  જેથી તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ -૪૯૮એ, ૩૦૬,૧૧૪ તથા દહેજ પ્રતિબંધ અધિનિયમનની કલમ ૩ અને ૭ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામના આરોપી ચેતનભાઇ તથા બાબુભાઇને  મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાના કામે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા આરોપીઓએ કોર્ટને જણાવેલ કે અમોને તા. ૧૪/૦૫/૨૦૧૮ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ગોંધી રાખવામાં આવેલ અને માત્ર ગુજરનારની અંતિમવિધી  માટે લાઠીદડ ખાતે લઇ ગયેલ  અને ત્યારબાદ ફરી  આજીડેમ પોલીસ સ્ટેશનમાં  લાવેલ અને અમોને ત્રણ દિવસ બાદ એટલે કે તા.૧૭/૦૫/૨૦૧૮ના  રોજ રીમાન્ડ અર્થે કોર્ટમા રજુ કરેલ છે જેવી રજૂઆતો આરોપીઓ દ્વારા કોર્ટ સમક્ષ  કરવામાં આવેલ.

તમામ સંજોગો તથા રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપીઓને રીમાન્ડ પર સોપવાની પોલીસની અરજી નામંજુર કરી આરોપીઓની પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયતમાં રખાયા હોવાની ફરીયાદ અન્વયે વીગતો સોગંદ ઉપર નોંધ્યા બાદ કાયદા મુજબ સદર હકિકતની જાણ ડીસ્ટ્રીકટ જજને કરવી જરૂરી જણાતા ડીસ્ટ્રીકટ જજ શ્રી ફરીયાદ તથા સોગંદનામા સહીતના તમામ દસ્તાવેજો મોકલાવાતા ડીસ્ટ્રીકટ  કોર્ટ દ્વારા આરોપીઓની  ગેરકાયદેસર અટકાયત સંદર્ભે ઈન્કવાયરી કરી અને તે ઈન્કવાયરી કર્યાનો રીપોર્ટ ડીસ્ટ્રીકટ કોર્ટને મોકલી આપવા આદેશ કરતા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટે પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ઈન્કવાયરી દાખલ કરવાનો આદેશ કરેલ છે.

આ કામમાં આરોપીઓ ચેતન ભાવનગરીયા તથા બાબુભાઇ ભાવનગરીયા વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન ગોમહેતા , ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ હતા.

(4:03 pm IST)