મનોક્ષતિગ્રસ્ત બાળકો માટે તાલીમ કેન્દ્રનો પ્રારંભ
રાજકોટઃ સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલની સુવર્ણજયંતી વર્ષની ઉજવણીનાં ઉપક્રમે 'હાર્ટ એન્ડ હેન્ડ ફોર ધી હેન્ડીકેપ્ડ, ફલશીંગ-ન્યૂયોર્ક (યુ.એસ.એ.) નાં સૌજન્યથી 'ઇન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશન'માં માનસિક ક્ષતિગ્રસ્ત તેમજ ડિસએબિલીટી' કેન્દ્રનો પ્રારંભ મંગળવારે પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ-રાજકોટનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષભાઇ મહેતાની ઉપસ્થિતિમાં યુ.એસ.એ. સ્થિત સુવિખ્યાત બાળરોગ નિષ્ણાંત ડો. રમેશભાઇ ઝવેરીનાં હસ્તે કરવામાં આવેલ. આ પ્રકારની તાલીમની વ્યવસ્થા પશ્ચિમનાં દેશોમાં પહેલેથી છે. ભારતમાં પણ દરેક મેડિકલ કોલેજ સાથેની હોસ્પીટલોમાં આવા કેન્દ્રો ખુલ્યાં છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં પણ આવું કેન્દ્ર છેલ્લાં છ મહિનાથી કાર્યરત છે જેમાં નિદાન, સારવાર, કસરત વગેરે બધાંજ પ્રકારની સારવારની વ્યવસ્થા એક જ જગ્યાએ મળે છે ત્યારે સીસ્ટર નિવેદીતા સંકુલ દ્વારા વધુ એક આવું તાલીમ કેન્દ્ર શરૂ કરાય છે. સ્પેશિયલ એજયુકેશનલ નીડ્સનાં સેન્ટર હેડ ડો. દિપાબહેન રાજાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, સિસ્ટર નિવેદિતા સ્કુલમાં આ કેન્દ્ર શરૂ થવાની શિક્ષક તાલીમ, વાલી તાલીમ વગેરેની વ્યવસ્થા એક જ જગ્યાએ થવાની તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળવાથી બાળકોનો આત્મવિશ્વાસ ખૂબ જ દૃઢ થશે. ઉદ્દઘાટન સમારંભમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નિમંત્રિતોએ ઉપસ્થિત રહી લર્નીંગ ડિસેબિલિટી કેન્દ્રની જાણકારી મેળવેલી.