ઉમરાહ માટે મક્કા-મદીના જવા ઇચ્છુક ૫૧ લોકો સાથે લાખોની ઠગાઇ
રાજકોટ સુભાષનગરના રજાક કુરેશી સહિતના છેતરાયાઃ ભાવનગરના મુસેબ હુશેનભાઇ બાદીએ ૩૦-૩૦ હજાર લેખે ફી ઉઘરાવી લીધા બાદ 'હવે મારાથી ઉમરાહની વ્યવસ્થા થાય તેમ નથી' તેવું કહી હાથ ઉંચા કરી દીધાઃ ૧૫ લાખ ૩૦ હજાર 'ખાઇ' ગયાની ફરિયાદ
રાજકોટ તા. ૭: ભાવનગર રહેતાં ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલક મુસેબ હુશેનભાઇ બાદીએ રાજકોટના ૫૧ જેટલા લોકો પાસેથી મક્કા-મદીના ઉમરાહ કરવા લઇ જવાના બહાને નાણા ઉઘરાવી લઇ બાદમાં ત્યાં ન લઇ જઇ રૂ. ૧૫,૩૦,૦૦૦ની ઠગાઇ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ અગે રૈયા રોડ સુભાષનગર ખોજા ખાના સામે રહેતાં મુસ્તુફા હુશેનભાઇ બાદી નામના યુવાને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાને રજૂઆત કરતાં આ અંગે તપાસ સોંપવામાં આવી છે.
મુસ્તુફા કુરેશીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે મારે તથા મારા કુટુંબીજનોને મક્કા-મદીના ઉમરાહ કરવા જવાનું હોઇ કોૈટુંબીક મામા જાવેદભાઇ પઠાણ સાથે વાતચીત કરી હતી. તેણે પોતે અગાઉ ભાવનગરના મુસેબ બાદી મારફત ઉમરાહ કરી આવ્યા હોવાનું કહેતાં અમે પણ મુસેબ સાથે વાત કરી હતી. તેણે પોતે વિઝા, ટિકીટો, હોટેલ એમ બધુ વાજબી ભાવે કરી આપશે તેવી વાત કરી હતી. એ પછી તેણે રૂબરૂ આવી બધા સાથે પોતે મીટીંગ કરશે તેમ પણ કહ્યું હતું. આજથી ચારેક મહિના પહેલા મુસેબ રાજકોટ આવેલ અને જાવેદભાઇને ત્યાં હું તથા સરફરાજ પઠાણ સહિતના ભેગા થયા હતાં. ત્યારે તેણે કોઇપણ જાતની ચિંતા નહિ કરવા કહી આખુ પેકેજ તૈયાર કરી આપશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ વ્યકિત દિઠ ૩૦ હજારનો ખર્ચ જણાવાયો હતો. તેણે એકથી દોઢ મહિનામાં જ બધી કાર્યવાહી પુરી થઇ જશે તેવી વાત કરી હતી. ત્યારબાદ તેણે મુંબઇ-મક્કા-મદીના-મુંબઇના ટ્રાન્સપોર્ટેશન તથા હોટેલ-લોજીંગ સહિતની વ્યવસ્થા કરી આપશે અને કોઇ તકલીફ નહિ પડે તેમ કહેતાં અમે કુલ ૫૧ લોકોએ મુસેબને નાણા ચુકવી દીધા હતાં. જેમાં મુસ્તુફા કુરેશી કુટુંબના ત્રણ વ્યકિતના ૯૦ હજાર, કાસમભાઇ પઠાણના બે વ્યકિતના ૬૦ હજાર, હાસમભાઇ બેલીમના રૂ. ૬૦ હજાર, રેહાનાબેન પઠાણના રૂ. ૩૦ હજાર, સલમાબેન પઠાણના રૂ. ૬૦ હજાર, શબ્બીરભાઇ પરમારના રૂ. ૬૦ હજાર, અબ્દુલરજાક કુરેશીના રૂ. ૩૦ હજાર, સાહીલભાઇ ઝેનબના રૂ. ૩૦ હજાર, ગુલશનબેન પઠાણના રૂ. ૩૦ હજાર, જેતુનબેન કુરેશીના રૂ. ૩૦ હજાર, અફસાનાબેન કુરેશીના રૂ. ૩૦ હજાર તથા નઝીર બેલીમના રૂ. ૩૦ હજારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૧૯ વ્યકિતઓએ રૂ. ૫,૭૦,૦૦૦ પૈકી ૩ લાખ રોકડા મુસેબના કહેવાથી સાબીર મન્સુરી રાજકોટના જાવેદભાઇ પાસેથી રૂબરૂ આવી લઇ ગયા હતાં. ૧,૪૦,૦૦૦ ઇમરાન કે જે સાઉદી હજ ટ્રાવેલ્સ ચલાવે છે તેના ખાતામાં જમા કરાવ્યા હતાં. આંગડિયા મારફત પણ રકમ મોકલાઇ હતી. આ ઉપરાંત સરફરાઝ પઠાણના રૂ. ૯૦ હજાર મુસેબના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાયા હતાં. રશીદાબેન બ્લોચના રૂ. ૩૦ હજાર, રસુલભાઇ પઠાણના રૂ. ૬૦ હજાર, જાવેદભાઇ પઠાણના ૬૦ હજાર, અબ્દુલભાઇ મકવાણાના ૩૦ હજાર, રહીમભાઇ મકવાણાના રૂ. ૬૦ હજાર, અલારખુભાઇ મકવાણાના રૂ. ૬૦ હજાર, યુસુફજઇના રૂ. ૯૦ હજાર મળી કુલ ૪ાા લાખ મુસેબના ખાતામાં જમા કરાવાયા હતાં.
ઉપરાંત ઓસમાણભાઇ સિપાહીના રૂ. ૬૦ હજાર, યુસુફજઇ લિયાકતખાનના રૂ. ૬૦ હજાર, હબીબભાઇ જુણાચ તથા રહીમભાઇ નકાણીના ૧૦ વ્યકિતઓના ૧,૮૦,૦૦૦ ચેકથી ચુકવાવાય હતાં. આમ કુલ ૫૧ વ્યકિતના રૂ. ૧૫ લાખ ૩૦ હજાર રોકડ, ચેક, એનઇએફટી તથા બેંક ખાતામાં જમા કરીને મુસેબને ઉમરાહ માટે ચુકવાયા હતાં.
આ રકમના ચુકવણા પછી મુસેબે બધાને તા. ૨૪-૧૨-૧૮ના રોજ મુંબઇથી ફલાઇટ મારફત ઉમરાહ લઇ જવામાં આવશે તેમ કહી રાજકોટથી મુંબઇ જવા ટ્રેનની ટિકીટ બૂક કરાવી હતી. પણ ટૂરની તારીખના થોડા દિવસ અગાઉ મુસેબ રૂબરૂ રાજકોટ આવ્યો હતો અને વધુ પૈસાની જરૂર પડશે તેમ કહી કહેતાં બધાએ વ્યકિત દિઠ ૫-૫ હજાર વધુ આપવા તૈયારી પણ દર્શાવી હતી. પરંતુ તારીખ નજીક આવી ગઇ છતાં ફલાઇટની ટિકીટો ન મળતાં તપાસ કરતાં મુસેબએ પોતે વડોદરા છે તેમ કહેતાં જાવેદભાઇ સહિતના ત્યાં મળવા ગયા હતાં. ત્યારે પણ તેણે ૨૮/૧૨ના રોજ જવાની વ્યવસ્થા કરાવે છે તેવી વાતો કરી હતી. તેમજ વધુ ૨-૨ હજારની જરૂર પડશે તેમ કહેતાં એ વ્યવસ્થા પણ બધાએ કરી હતી. પરંતુ ૨૮મીએ પણ કોઇને ઉમરાહ કરવા લઇ જવાયા નહોતાં. ૩૦મીએ ફરીથી વડોદરા ખાતે તેને મળવા જતાં તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. પછી છેલ્લે તેણે 'હાલમાં ઉમરાહ જવાની વ્યવસ્થા મારાથી થાય તેમ નથી' તેવું કહી દેતાં બધાએ પોતાના પાસપોર્ટ અને પૈસા પાછા માંગતા તેણે 'પૈસા-બૈસા પાછા મળશે નહિ, થાય તે કરી લેજો, હવે આવ્યા છો તો સારાવટ નહિ રહે' તેમ કહી ધમકી આપી હતી.
એ દરમિયાન જાણવા મળ્યું હતું કે અમારા બધાના પૈાસ મુંબઇના રહીશ અકીલભાઇ કે જે અમન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવે છે તેને અપાયા છે. આથી અમે તેનો સંપર્ક કરી પાસપોર્ટ પાછા માંગતા તેણે પણ આનાકાની કરી હેરાન કર્યા હતાં. કાયદેસરની કાર્યવાહીની વાત કરતાં પાસપાર્ટ પાછા આપી દીધા હતાં. પરંતુ પૈસા મુસેબે આજ સુધી આપ્યા ન હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ લેખિત ફરિયાદમાં જણાવાયું છે. ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાએ ગાંધીગ્રામ પોલીસને તપાસ કરવા સુચના આપી હોવાનું જાણવા મળે છે. (૧૪.૧૩)