જીવતો વિજ વાયર પડતાં વેપારીને કરંટ લાગ્યો અને રિક્ષા સાથે ઢસડાયા
ટાગોર માર્ગ પર બનાવઃ ભરતભાઇ ધકાણ સારવાર હેઠળ
રાજકોટ તા.૬: સાધુ વાસવાણી રોડ પર રહેતાં સોની વેપારી ભરતભાઇ પ્રવિણભાઇ ધકાણ (ઉ.વ.૪૪) ટાગોર માર્ગ પર હતાં ત્યારે જીવતો વિજ વાયર પડતાં પગમાં કરંટ લાગતાં તેમજ આ વાયર ત્યાંથી પસાર થતી રિક્ષામાં ફસાતાં તેની સાથે ભરતભાઇ ઢસડાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. ભરતભાઇ હાર્ડવેરની ચીજવસ્તુઓ લેવી હોઇ જેથી ટાગોર રોડ પર શો રૂમ ખાતે આવ્યા હતાં અને પોતાનું એક્ટીવા પાર્ક કરતાં હતાં ત્યારે વિજ વાયર તૂટીને પડતાં પગમાં સ્હેજ કરંટ લાગી ગયો હતો. આ વખતે જ રિક્ષા નીકળતાં તેમાં વાયર ફસાતાં તેની સાથે વાયર ખેંચાયો હતો અને સાથે ભરતભાઇ પણ ઢસડાઇ ગયા હતાં. સિવિલમાં સારવાર અપાવી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.