રાજકોટ
News of Friday, 6th December 2019

'સમર્થ રાષ્ટ્ર સમર્થ પરિવાર': સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના સથવારે ગુરૂવારે આત્મજ્ઞાની પૂ.દિપકભાઇ દેસાઇનું વકતવ્ય

પેરન્ટીંગ પરિક્રમા તળે આયોજનઃ હાસ્યકાર - શિક્ષણવિદ સાંઇરામ દવે 'સંયુકત પરિવાર' પર છણાવટ કરશે

રાજકોટ તા.૬: શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન હાલરડાં, બાળવાર્તા લગ્નગીત અને પેરેન્ટિંગને લગતા બાળકેળવણીના કાર્યક્રમો માટે સવિશેક્ષ રૂપે જાણીતુ છે. આજ શૃંખલામાં  આગામી  ૧૨મી ડીસેમ્બરે રાત્રે ૯ થી  ૧૧ હેમુગઢવી હોલ ખાતે  'સમર્થ રાષ્ટ્ર સમર્થ પરિવાર' વિષય ઉપર વિશેષ વ્યાખ્યાનનું આયોજન  કરેલ છે.

જેમાં દાદા ભગવાન પરિવારના આત્માજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઇ દેસાઇ (અડાલજ - અમદાવાદ) પધારશે અને મુખ્ય વકતવ્ય સાથે માતા-પિતાને  પેરન્ટીંગની દિશામાં સાચી સમજણ સહ આશીર્વાદ  પાઠવશે.   સાથે હાસ્યકાર અને શિક્ષણવિદ સાંઇરામ દવે 'સંયુકત પરિવાર' વિષય ઉપર પ્રાસંગિક રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે. પરંતુ www. sailaxmifoundation. com/sr  પર રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. વધુ માહિતી માટે આપ ૯૩૨૭૫૬૬૭૫૧ પર સંપર્ક કરી શકાશે. તુટતા જતા પરિવારોને જોડતા આ અનોખા  કાર્યક્રમમાં પધારવા સાઇલક્ષ્મી ફાઉન્ડેશનના યુવા ચેરમેન અમિત દવેએ જાહેર જનતાને અનુરોધ કરેલ છે. રજીસ્ટ્રેશન તા. ૦૫-૧૨-૨૦૧૯ થી ૦૯-૧૨-૨૦૧૯ સુધી ચાલુ રહેશે.

મુખ્ય વકતા દિપકભાઇ દેસાઇનો પરિચય જોઇએ તો આત્મજ્ઞાની પુજ્ય દિપકભાઇ દેસાઇએ દાદા ભગવાન અને નિરૂમાની આક્રમ વિજ્ઞાનના ઉત્તરાધિકારી છે. મોરબી પાસેના વવાણિયા ગામના વતની દિપકભાઇ મુંબઇની કોલેજમાં મીકેનીકલ એન્જીનીયરીંગ ભણેલા છે દેશ-વિદેશમાં  વસતા દાદા ભગવાન પરિવારમાં તેઓ પ્રશ્નોતરી સત્સંગ દ્વારા સુખ ફેલાવવાનુ મહાન કાર્ય કરે છે.  દેશ-વિદેશમાં તેમણે ચૌદ જેટલા ત્રિમંદિરોનુ નિર્માણ કરેલ છે. અડાલજ પાસે વિશાળ વિસ્તારમાં સીમંધર સીટી, આરોગ્યકેન્દ્ર , ગુરૂકુળ , સ્કુલ તેમજ અન્નક્ષેત્રની વિધિવત સામાજીક પ્રવૃતિઓ સાથે પુજ્ય દિપકભાઇ જોડાયેલા છે.

શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના માધ્યમથી તેઓ 'સમર્થ રાષ્ટ્ર સમર્થ પરિવાર'કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા તા.૧૨ના રાજકોટ પધારી  રહ્યા છે.  આ અગાઉ આ ફાઉન્ડેશનને પૂ.મોરારીબાપુ., પુ. રમેશભાઇ ઓઝા, પૂ. રાકેશભાઇ ઝવેરીના વ્યાખ્યાનો યોજ્યા છે.

(11:44 am IST)