રાજકોટ
News of Thursday, 6th December 2018

પોપટપરામાં તોફાની તત્વોનો ભારે ત્રાસઃ ચાર કારના કાચ ફોડ્યાઃ રાત્રે ગમે તેના દરવાજા ખખડાવાય છે!

મેઇન રોડ પર રાત્રે દોઢ પછી આસીફભાઇ કરથગરા અને ગાયક કલાકાર મંજુલાબેન ધોરીયાની કારના કાચ અને રઘુનંદનમાં અન્ય બે કારના કાચ ફુટ્યાઃ પોલીસ કમિશ્નરને રજૂઆત

તસ્વીરમાં જેના કાચ ફૂટ્યા તે કાર, તેના માલિકો અને બનાવને પગલે વિસ્તારમાં લોકો ભેગા થઇ ગયા તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: પોપટપરા મેઇન રોડ પર કેટલાક દિવસથી તોફાની તત્વોએ ત્રાસ ફેલાવવાનું શરૂ કર્યુ છે. આ તત્વો મોડી રાત્રે ગમે તેના ઘરના દરવાજા ખખડાવી ભાગી જાય છે. તો ગત મોડી રાત્રે ત્રણથી ચાર કારના કાચ ફોડી નાંખી આતંક મચાવાયો હતો. આ મામલે કાર માલિકો અને રહેવાસીઓએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે.

જાણવા મળ્યા મુજબ પોપટપરા મેઇન રોડ પર રહેતાં ગેરેજ સંચાલક આસીફભાઇ ગફારભાઇ કરગથરાની એટીઓસ કાર જીજે૨૩સીએ-૨૫૮૮ તથા ત્યાંથી આગળ શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં ગાયક કલાકાર મંજુલાબેન કરસનભાઇ ધોરીયાની અલ્ટો કાર જીજે૦૧એચસી-૪૪૩૪ના કાચ કોઇએ રાત્રીના દોઢ પછી તોડી-ફોડી નાંખ્યા હતાં. આ બાબતે તેઓને સવારે જાણ થઇ હતી અને ૧૦૦ નંંબરમાં ફોન કરીને જાણ કરી હતી.

આસીફભાઇના કહેવા મુજબ કેટલાક દિવસથી મોડી રાત્રે કેટલાક તત્ત્વો તોફાન કરે છે. ગમે તેના ઘરના દરવાજા ખખડાવી ભાગી જાય છે. હવે કારના કાચ ફોડવામાં આવ્યા છે. મેઇન રોડ પર બે કાર તથા રઘુનંદન સોસાયટીમાં પણ બે કારને નિશાન બનાવાઇ હતી. અંહી નજીકમાં જ મંદિર છે ત્યાં સીસીટીવી કેમેરા ફીટ કરવાની માંગણી પણ આસીફભાઇએ કરી છે. તોફાની તત્ત્વોની રંજાડ સામે વિસ્તારમાં રોષ ફેલાઇ જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને બપોરે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. પોલીસ નાઇટ પેટ્રોલીંગ કરી આવા તત્વોને પકડી પાડે તેવી રહેવાસીઓની માંગણી છે. (૧૪.૧૦)

(4:40 pm IST)