રાજકોટ
News of Thursday, 6th December 2018

ગર્વસે મુહપતી લગાએ, સ્થાનકવાસી કહલાએઃ ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે સ્થાનકવાસી શ્રાવક- શ્રાવિકાઓએ પોતાના સાથે પૈસા પાકીટની જેમ પુણ્યનું પાકીટ એવી મુહપતી સદૈય સતત સંગાથે રાખવી જોઈએ ''ઉઘાડે મુખ બોલ્યા પાપ લાગે વિપાક'' આ ઉકિતને ચરિતાર્થ કરવા દરેક શ્રાવક- શ્રાવિકાએ મનમાં સંકોચ કે હૃદયમાં શરમ રાખ્યાવગર પોતાના પાકીટ કે પર્સમાં આપણા ધર્મ ધ્વજ સ્વરૂપ મુહપતી સાથે રાખવી જોઈએ.

જેમ શીખ સમુદાય પોતાના ધર્મનું પ્રતિક પાઘડી પહેરે છે, મુસ્લીમ સમુદાય પોતાના ધર્મના પ્રતિક પ્રત્યે આદરભાવ ધરાવે છે, વૈષ્ણવ કે શૈવ સંપ્રદાય પોતાના ધર્મના પ્રતિકોને ધારણ કરે છે. તેમ આપણે આપણા ધર્મના પ્રતિક પ્રત્યે ઓર માયુ વર્તન શા માટે ? કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોઈપણ દેશમાં જાય ત્યારે તેનો રાષ્ટ્રધ્વજ સાથે જ હોય તેમ ચતુર્વિધ સંઘના બે અંગ સાધુ- સાધ્વી ધર્મધ્વજને સતત ધારણ કરી રાખે છે. પરંતુ શ્રાવક- શ્રાવિકા આ બંને અંગ મુહપતી પ્રત્યે આદર અને અહોભાવ હોવા છતાં કોઈ કારણથી સંગાથે રાખવામાં અને ધારણ કરવામાં સંકોચ અનુભવે છે.

મુહપતી ધારણ કરવાથી સૂક્ષ્મ જીવોની રક્ષા થાય છે. જીવ હિંસાથી આત્મા બચે છે, ગુરૂ ભગવંતોની સામે બોલતા સમયે અશાતનાથી આત્મા બચે છે. મુહપતી સ્થાનકવાસી હોવાની પહેચાન છે. આવો ! સંકલ્પ કરો મુહપતી વગર ગુરૂ ભગવંતોની સામે નહીં બેસીએ, મુહપતી બાંધીને જ ધર્મસ્થાનકમાં પ્રવેશી કરીશું. સ્થાનકવાસી ધર્મનો પાયો દૃઢ કરવા માટે આપણે આટલુ કરીએ ! 'મુહપતી કે સંગ સંગ ચલ' ગર્વશે મુહપતી લગાએ, સ્થાનકવાસી કહલાએ.

દરેક સંત- સતીજી પોતાના અનુયાયી શ્રાવક- શ્રાવિકાને મુહપતી ધારણ કરવા પ્રેરીત કરે. સંતો આજીવન મહુપતી ધારણ કરે છે. તો શ્રાવકોએ આંશિકરૂપે ધારણ કરવી જોઈએ. શ્રાવકો ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, પણ આપના પાકીટ, પર્સ કે ખીસ્સામાં મુહપતી હોવી જરૂરી છે. મુહપતી આત્માને જાગ્રત રાખે છે કે તું મુકિતપંથનો પ્રવાસી છે. ઉન્માર્ગે જતા આત્મા માટે મુહપતી રેડ એલર્ટ છે. મુહપતી સન્માર્ગની પથ દર્શક છે.

દીક્ષા મહોત્સવ અદિ પ્રસંગોમાં કે ધર્મસ્થાનક, ઉપાશ્રયમાં જતાં સમય અવશ્ય મુહપતી ધારણ કરવી તમે ગમે ત્યાં હો, ગમે તે સ્થિતિમાં હો, ગમે તે કાર્ય કરતા હો, તમારી સાથે મુહપતિ હોવી જરૂરી છે. તે તમને જાગ્રત રાખશે. સચેત રાખશે આજથી અત્યારથી જ મુહપતી સંગાથે રાખો.

(4:13 pm IST)