ત્રંબા બસ સ્ટેન્ડ પાસે કારે-બાઇકને ઠોકર મારતા કમળાપુરના વૃદ્ધનું મોત
આહીર વૃદ્ધ રાજકોટ મિત્રના પાણી ઢોર પ્રસંગમાં આવતા'તા
રાજકોટ તા.૬: જસદણના કમળાપુરમાં રહેતા આહીર વૃદ્ધ રાજકોટના તેના મિત્રના પાણીઢોર પ્રસંગમાં આવતા હતા ત્યારે તંબા બસ સ્ટેન્ડ પાસે કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આહીર વૃદ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગતો મુજબ જસદણના કમળાપુર ગામમાં રહેતા સુરેશભાઇ માલાસુરભાઇ ડવ (ઉ.વ.૬૦) ગઇકાલે પોતાનું મોટરસાયકલ લઇને રાજકોટ આવતા હતા ત્યારે ત્રંબા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા જી.જે. ૩ એબી -૮૦૮ નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આહીર વૃદ્ધ સુરેશભાઇ ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા કાર ચાલક કાર રેઢી મુકીને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને જાણ કરતા તેના ભાણેજ નિર્મળભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) સ્થળ પર દોડી આવ્યા હતા અને વૃદ્ધ સુરેશભાઇને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સુરેશભાઇ ડવ ખેતીકામ કરતા હતા. તે ગઇકાલે તેના મિત્રના પાણીઢોરના પ્રસંગમાં રાજકોટ આવતા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ પંકજભાઇ દીક્ષિત તથા રાઇટર વિપુલભાઇએ મૃતક આહીર વૃદ્ધના ભાણેજ નિર્મળભાઇ રાઠોડ (રહે. કેવડાવાડી -૧૦ના ખુણે રાજકોટ)ની ફરીયાદ પરથી જી.જે. ૩ એ.બી. ૮૦૮ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જી.એન. વાઘેલાએ તપાસ હાથ ધરી છે. બે પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.