નવનાથ સેવા ટ્રસ્ટ દ્વારા શિવપુરાણ કથા મહોત્સવ
રેસકોર્ષ મેદાનમાં તા. ૨૩ થી તા. ૧ સુધી આયોજન : મુખ્યમંત્રીના હસ્તે દીપપ્રાગટય : પૂ. ડો. લંકેશબાપુ કથા શ્રવણ કરાવશે : ૩ એકર જગ્યામાં નવનાથ ધામ ઉભુ કરવા સંકલ્પ
રાજકોટ તા. ૬ : નવનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ર૩ નવેમ્બરથી તા. ૧ ડીસેમ્બર સુધી રેસકોર્ષ મેદાન ખાતે શ્રી શિવમહાપૂરાણ કથાનું આયોજન કરાયુ છે.
કથાનું દિપપ્રાગટય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અને ધ્વજારોહણ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજના હસ્તે કરાશે.
કથાના વ્યાસાસને સુપ્રસિધ્ધ શિવકથાકાર પૂ. ડો. લંકેશબાપુ (એમ.ફીલ. પી.એચ.ડી.) કડીવાળા બિરાજી ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
અહીં ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌપ્રથમ 'શ્રી યંત્ર' યુકત શિખરબધ્ધ ભવ્ય મંદિરનું નિર્માણ કરવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો આરંભ કરાશે. ૩ એકર જગ્યામાં બનનાર આ નવનાથ ધામ આસ્થાનું કેન્દ્ર બની રહેશે.
આ પ્રસંગે શ્રી અનિરૂધ્ધસિંહ જાડેજા (રિબડા), પૂ. ભાવેશ દાદા ભાગવતકથાકાર (સુરત) તથા સંતો મહંતો, નામી અનામી હસ્તીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
કથાની પોથીયાત્રા તા. ૨૩ ના શુક્રવારે વેદમાતા ગાયત્રીધામ જડુસ હોટલ સામે, કાલાવડ રોડ, જાનીદાદાના નિવાસ સ્થાનેથી બપોરે ૨.૩૦ કલાકે પ્રસ્થાન કરશે. વાજતે ગાજતે સાંજે ૪.૩૦ વાગ્યે શિવગોરક્ષનાથ ધામ રેસકોર્ષ ખાતે પહોંચશે. કથા દરમિયાન રોજ રાત્રે ભજન, સંતવાણી, રાસ ગરબાની રમઝટ બોલશે.
તમામ ધર્મપ્રેમીજનો, સંસ્થાનાઓ, સંગઠનોના આગેવાનોએ પધારવા નવનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેશ એન. જાની (મો.૯૭૧૨૭ ૩૩૧૩૧) ની યાદીમાં જણાવાયુ છે.