રાજકોટની ૧૩ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ફાયર બ્રિગેડની ટુકડીઓ દોડાવાઇ : રેસ્કયુ સાધનો છે કે નહી ? સર્વે
સાંજ સુધીમાં તમામ હોસ્પિટલોનું ફાયર ઓડિટ કરી નોટીસો સહિતની કાર્યવાહી : ઉદિત અગ્રવાલનો આદેશ
રાજકોટ તા. ૬ : અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી ઉઠી છે અને તાબડતોબ રાજ્યના અન્ય શહેરોની કોવિડ-૧૯ હોસ્પિટલોનું ફાયર ઓડિટ કરાવવા આદેશો આપતા તેના પગલે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે શહેરની ૧૩ જેટલી કોવિડ હોસ્પિટલોના સર્વે માટે ફાયરબ્રિગેડની ટીમો દોડાવી છે.
શ્રી અગ્રવાલે અકિલાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોવિડ-૧૯ હોસ્પિટલોનું ફાયર ઓડિટ કરવા આદેશ આપ્યો છે તેથી આજે સવારથી જ સ્ટાર સીનર્જી, પરમ, એચ.સી.જી., ગીરીરાજ, ઉદય હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલ, વોકહાર્ટ વગેરે સહિતની ૧૩ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ફાયર બ્રિગેડની ટુકડીઓ મોકલી અને આ હોસ્પિટલોમાં આગ - અકસ્માત વખતે ઇમરજન્સી ગેટ, ફાયર એકસ્ટીમ્બ્યુસર, પર્યાપ્ત પાણીનો અનામત જથ્થો વગેરે રેસ્કયુ સાધનો છે કે નહી? તેનો સર્વે શરૂ કરાવ્યો છે જે હોસ્પિટલોમાં આ સાધનોની ઉણપ જોવા મળશે તેની સામે નોટીસ અને મંજુરી રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે.