એસટીના કર્મચારીઓ-અધિકારીઓએ આજથી કાળી પટ્ટી ધારણ કરીઃ અનેક મુદ્દે આંદોલન શરૂ
ત્રણ દિ' કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશેઃ તા.૧૩-૧૪ સૂત્રોચ્ચાર અને તા.૨૦-૨૧ ઘંટારવ-રામધૂન
રાજકોટ તા.૬: આજથી રાજકોટ સહિત રાજયભરના એસટી કર્મચારીઓએ આંદોલનનો બૂંગીયો ફૂંકીયો છે, સાતમું પગારપંચ- ડ્રાઇવર-કંડકટરને માનસિક ત્રાસ- સિનિયોરીટી-ખોટી રીતે સસ્પેન્શની જોગવાઇ અને તેનો દૂરઉપયોગ વિગેરે મુદ્દે લડત શરૂ કરાઇ છે. રાજયમાં એસટી કામદારોના હિતમાં નિર્ણય લેવાનું સરકારે બંધ કરી દીધું છે. જેના કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવા છતાં નફાના ગાળામાં કયાંય વધારો દેખાતો નથી. જેની સામે વિરોધ દર્શાવી આજે એસટી મજદૂર મહાસંઘ, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, એસટી કર્મચારી મહામંડળ અને એસો. ઓફ એસટી ઓફિસર્સ દ્વારા ત્રણ દિવસ સુધી નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહયાં છે. આ ઉપરાંત તા. ૧૩ અને તા. ૧૪ ઓગ. ના નિગમના તમામ વિભાગોમાં સૂત્રોચ્ચાર અને તા. ૨૦ અને તા. ૨૧ ઓગ. નાં ઘંટારવ અને રામધૂનનો કાર્યક્રમ યોજાશે. કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે જણાવાયું હતું કે, વોલ્વો સહિતની બસોના સંચાલન માટે હાઇ એન્ડ સર્વિસ બસોનું જે ટેન્ડર બહાર પાડવામં આવ્યું છે તેનાથી એસટીને કરોડો રૂ.નું નુકશાન થાય તેમ છે તેથી આ મુદ્દે તપાસ પંચ નિમવું જોઇએ તેમજ ટેન્ડર રદ કરવું જોઇએ.