રાજકોટ
News of Friday, 6th July 2018

ફિલ્મ 'બજરંગી ભાઇજાન'ની યાદ અપાવશે રાજકોટની ઝાહીદાની કરૂણ કહાની

પ્રજ્ઞાચક્ષુ વ્યકિત કરતા પણ જે બોલી અને સાંભળી શકતા નથી તેની હાલત વધુ કરૂણ હોય છે : તેમાં પણ જો મુકબધીર વ્યકિત નિરક્ષર હોય અને તે જ્યારે પરિવારથી વિકૂઠી પડી જાય તો તેની જિંદગી અતિ મુશ્કેલીમાં મુકાઇ જતી હોય છે

મુંબઇ તા. ૬ : બોલીવુડની ફિલ્મ બજરંગી ભાઈજાન તો આપ સૌ કોઈએ નિહાળી હશે. જી હા ફિલ્મ બજરંગી ભાઈજાનની મુકબધીર બાળકી એટલે કે શાહિદા કે જે તેના પરિવારથી વિકુઠી પડી જાય છે અને ત્યારબાદ તે પરિવાર સાથે મળવા અનેક મુશ્કેલીનો સામનો કરે છે. જેમાં સોશિયલ મીડિયા અને ટેલિવિઝન મીડિયાની મદદથી આખરે તેનું તેના પરિવાર સાથે મિલન થાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં જોવા મળ્યો છે.

કહેવાય છે કે, પ્રજ્ઞાચક્ષુ વ્યકિત કરતા પણ જે બોલી અને સાંભળી શકતા નથી તેની હાલત વધુ કરુણ હોય છે. તેમાં પણ જો મુકબધીર વ્યકિત નિરક્ષર હોય અને તે જયારે પરિવારથી વિકૂઠી પડી જાય તો તેની જિંદગી અતિ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. રાજકોટમાં આવી જ એક મુકબધીર અને નિરક્ષર યુવતી છેલ્લા ૧૦ માસથી રાજકોટના નારી સંરક્ષણ ગૃહમાં રહે છે.

તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાજકોટ તાલુકા પોલીસ મોરબી રોડ પર પેટ્રોલિંગમાં હતી એ સમયે આશરે ૩૦ વર્ષીય યુવતી મળી આવી હતી. પોલીસને જે સમયે આ યુવતી મળી ત્યારે તેની પાસેથી એક બેગ હતી જેમાં એક ચીઠી હતી અને તેમાં તેનું નામ ઝાહીદા હોવાનું જોવા મળ્યું હતું. મુકબધીર હોવાથી પોલીસે તેને રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી.

પ્રોટેકશન ઓફિસર જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા છેલ્લા ૩ વર્ષથી રાજકોટ જિલ્લા ખાતે નારી સંરક્ષણ ગૃહ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પરિવાર થી વિકુઠી પડેલ યુવતીઓ અને મહિલાઓને રાખવામાં આવે છે જયાં તેને રહેવા જમવાની સુવિધા સાથે પગભર થવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે.

રાજકોટ નારી સંરક્ષણ ગૃહમાં ઝાહીદાનું મેડિકલ ચેકઅપ કરાવી બાદમાં મુકબધીર સાંકેતિક ભાષાના નિષ્ણાંતની મદદ લઇ તેની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સાંકેતિક ભાષામાં સંવાદ કરતા તેવું માલુમ થયું હતું કે તે પોતે એક બહેન સાથે રહેતી હતી અને તેને ૩ બાળકો છે તેને છોડી તે પોતે બારીમાંથી કૂદકો મારી નાસી ગઈ હતી. હવે તે પોતે સાંકેતિક ભાષામાં જણાવે છે કે તેને તેના પરિવાર પાસે અને બાળકો પાસે જવું છે.

રાજકોટ નારી સંરક્ષણ ગૃહમાં કોઈ યુવતી કે મહિલા કે જે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી હોય છે અને બાદમાં જયારે તેનું પરિવાર થી મિલન થાય તો આખરે તેને પરિવાર પાસે મોકલી આપવામાં આવે છે. નારી સંરક્ષણ ગૃહમાંથી કોઈ મહિલા પોતાના પરિવાર પાસે જવા વિદાય લે છે ત્યારે આ ઝાહીદા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે કારણ એ કે તેને પણ પોતાના પરિવારને મળવું છે પરંતુ વિકલાંગતા અને નિરક્ષરતા તેના માટે વિઘ્ન બની રહે છે.(૨૧.૩૨)

 

(3:57 pm IST)