શાસ્ત્રી મેદાન પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ
રાજકોટ તા. ૬ :.. અત્રે શાસ્ત્રી મેદાન પાસેથી એક વર્ષના સગીર બાળકનું અપહરણ કરવાના ગુનામાં પકડાયેલ દ્વારકાના ખંભાળીયા મુકામે રહેતા ફરીદાબેન સલીમભાઇ શુભાનીયા અને સલીમ હુસેન સુભાનીયાએ જામીન પર છૂટવા કરેલ અરજીને અધિક સેશન્સ જજ શ્રી વોરાએ રદ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, તા. રર-પ-ર૦૧૯ ના રોજ રાત્રીના ફરીયાદી પરિવાર સાથે રાજકોટના શાસ્ત્રી મેદાન સામેની ફુટપાથ ઉપર સુતેલા હતા ત્યારે ફરીયાદીની નાની દિકરી 'જીગો' ઉ.વ.૧ મળી નહી આવતા ફરીયાદ કરેલ જેના અનુસંધાને તપાસમાં ખુલેલ કે સહઆરોપી ફાતીમા ઉર્ફે સીમાએ નાથાલાલ સોમૈયા સાથે લગ્ન કરેલ અને ત્યારબાદ બંને વચ્ચે છૂટાછેડા થયેલ પરંતુ તે દરમ્યાન નાથાલાલ દ્વારા રહેલ બાળકની ફાતીમાને બાળકની જરૂરીયાત હોવાથી તેણી એ હાલના આરોપીઓ સાથે કાવતરૂ રચી ફરીયાદીનું બાળકનું અપહરણ કરેલ હતું.
આ કામે સરકારી વકીલ પ્રશાંત પટેલની રજૂઆત કરી કે આરોપીઓએ અન્ય સહ આરોપીઓ સાથે મળી કાવતરૂ રચી પોતાના આર્થિક ફાયદા માટે બાળકની તસ્કરી કરી હેરાફેરી કરેલ અને તે અંગે પુરતો પુરાવો મળતા ચાર્જશીટ થયેલ. અન્ય સહ આરોપીના પેરીટીના ગ્રાઉન્ડ ઉપર હાલના આરોપીઓને જામીન મળી શકે નહીં. જેથી એડી. સેશન્સ જજ શ્રી ડી. એ. વોરાએ જામીન અરજી રદ કરી હતી.
આ કામે સરકાર પક્ષે એ. પી. પી. પ્રશાંત પટેલ રોકાયા હતાં.