વ્યાજ વટાવના કેસમાં બે આરોપીઓના જામીન મંજુર કરતી કોર્ટ
રાજકોટ, તા.૬: વ્યાજ વટાવના ગુનામા સંડોવાયેલા બે આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ દડવા ગામે રહેતા કિશોરભાઇ બેચરભાઇ રાદડીયાએ આરોપી સંજયભાઇ દેવાયતભાઇ બોરીચા અને મુકેશભાઇ શંભુભાઇ ઠુંમર પાસેથી ૮ વર્ષ પહેલા રૂ.૧૫ લાખ વ્યાજે લીધા હતા. અને તેના બદલામા ફરિયાદીના નાના ભાઇ ૧૭ વિધા જમીનનું સાટાખત કરી આપ્યું હતું. ફરિયાદીએ તમામ રકમ ચુકવી દીધી હોવા છતા આરોપીઓ તેઓને ધાક ધમકી આપતા હોય અને જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરતા હોય જે મતલબની ફરિયાદ કિશોરભાઇ રાદડીયાએ આટકોટ પોલીસ સ્ટેશનમા નોંધાવી હતી. સંજયભાઇ બોરીચા અને મુકેશભાઇ ઠુંમરે તેમના એડવોકેટ મારફત રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલ ગ્રાહ્ય રાખી બંને આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં બંને આરોપી વતી એડવોકેટ રધુવીર બસીયા રોકાયા હતા.