એટીએમમાં નિવૃત પોસ્ટ માસ્તરને છેતરી ગઠીયાએ રૂ. ૧.૨૧ લાખ ઉપાડી લીધા
નવલનગરના મહેન્દ્રભાઇ ભટ્ટ સાથે આનંદ બંગલા ચોકના એટીએમમાં બનાવઃ છુટા આપવાના બહાને કાર્ડ બદલી લઇ 'કારીગીરી': માલવીયાનગર પોલીસે તપાસ આરંભી
રાજકોટ તા. ૬: એટીએમમાં ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓને છેતરીને મદદ કરવાના બહાને ગઠીયાગીરી કરી એટીએમ કાર્ડ બદલીને કે પછી બીજી યુકિત અપનાવી નાણા ઉપાડી લઇ છેતરપીંડી કરતાં ગઠીયાને અગાઉ એ-ડિવીઝન પોલીસે દબોચતાં બે ડઝન જેટલા ગુનાના ભેદ ખુલ્યા હતાં. ત્યાં વધુ એક કિસ્સામાં નવલનગર-૯માં રહેતાં બાંટવાના નિવૃત પોસ્ટ માસ્તર મહેન્દ્રભાઇ દામોદરભાઇ ભટ્ટ (ઉ.૬૬)ને એક ગઠીયાએ છેતરીને તેમનું એટીએમ કાર્ડ બદલી તેનો જુદા-જુદા એટીએમમાં ઉપયોગ કરી રૂ. ૧,૨૧,૫૯૭ ઉપાડી લીધા છે.
મહેન્દ્રભાઇ ભટ્ટ અને તેમનો ૩૦ વર્ષનો દિકરો તા. ૩/૨ના રાત્રે પોણા નવેક વાગ્યે આનંદ બંગલા ચોકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતાં. આ વખતે મહેન્દ્રભાઇએ એસબીઆઇનું પોતાનું એટીએમ કાઢી તેના દ્વારા રૂ. ૫૦૦૦ ઉપાડ્યા હતાં. એ વખતે એમનો દિકરો દૂર હતો. આ વૃધ્ધને છુટા પૈસાની જરૂર હોઇ એટીએમમાં જ ઉભેલા એક યુવાન વયના શખ્સને ૨ હજારની નોટ આપી છુટા માંગતા તેણે છુટા આપ્યા હતાં. એ પછી એ શખ્સે આ મશીનમાંથી નવી ૨૦૦ વાળી નોટો પણ નીકળે છે તેવી વાતો કરી હતી. પણ મહેન્દ્રભાઇએ રૂ. ૪૦૦ ઉપાડવા પ્રોસીઝર કરતાં ૧૦૦-૧૦૦ વાળી ચાર નોટો જ નીકળી હતી. એ પછી ગઠીયાએ કોઇપણ રીતે મહેન્દ્રભાઇ પાસેનું તેમનું એટીએમ બદલીને જુનુ તેના જેવુ જ બંધ થઇ ગયેલુ એટીએમ આપી દીધુ હતું.
મહેન્દ્રભાઇ ઘરે ગયા બાદ થોડી-થોડીવારને અંતરે તેમના મોબાઇલમાં પૈસા ઉપડી ગયાના મેસેજ આવ્યા હતાં. પરંતુ તેમણે એ રૂટીન મેસેજ સમજીને એ વખતે ધ્યાન આપ્યું નહોતું. બીજા દિવસે પણ ૬૪૬૫ માંથી રૂ. ૬૪૦૦ ઉપડી ગયા હતાં. આ રીતે કુલ રૂ. ૧,૨૧,૫૯૭ ઉપડી જતાં માત્ર રૂ. ૬૫ બેલેન્સ રહી જતાં પુત્રને ખબર પડતાં તપાસ કરતાં ગઠીયાની કારીગીરી સામે આવી હતી. આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં હાલ લેખિત ફરિયાદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દોઢ-બે મહિના પહેલા આવી જ રીતે ગઠીયાગીરી કરતાં એક પરપ્રાંતિય શખ્સને એ-ડિવીઝન પોલીસે પકડ્યો હતો. ત્યાં હવે નવો ગઠીયો મેદાનમાં આવી ગયો કે કેમ? તે અંગે પોલીસે ફૂટેજ ચેક કરવા તપાસ શરૂ કરી છે.