વિઠ્ઠલભાઇને હોસ્પિટલમાં ૩ માસ પૂરાઃ તબિયતમાં ક્રમશઃ સુધારો
વેન્ટીલેટર સંપૂર્ણ હટાવાયુ, આઇ.સી.યુ.માં યથાવત
રાજકોટ તા.૬: પોરબંદરના ભાજપના સાંસદ અને સૌરાષ્ટ્રના જાણીતા ખેડુત નેતા શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા મણકાના ઓપરેશન પછી ઉદ્ભવેલી ફેફસા સહિતની તકલીફના નિવારણ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ત્રણ માસથી સારવાર હેઠળ છે ત્યા તેમની તબિયતમાં ધીમો છતા આશાસ્પદ સુધારો દેખાતો હોવાનું જાણવા મળે છે
વિઠ્ઠલભાઇને વેન્ટીલેટર પરથી સંપૂર્ણ હટાવી હાલ આઇ.સી.યુ.માં સારવાર આપવામાં આવી રહી છે શરીરના અંગોમાં ફરી સંવેદના આવવાની શરૂઆત થઇ છે. તેમને ફરી સંપૂર્ણ સભાન અવસ્થામાં લાવવા માટે ડોકટરોના પ્રયાસો ચાલુ છે તબિયતમાં કયારેક સ્થિરતા અને કયારેક સુધારો જોવા મળે છે હોસ્પિટલમાં તેમના દીકરા લલિત રાદડિયા, ભાણેજ પી.સી.સાવલિયા વગેરે ખડે પગે છે અગાઉના પ્રમાણમાં તેમની તબિયતમાં થઇ રહેલા સુધારાને ડોકટરો સારી નિશાની ગણાવી એકાદ અઠવાડિયા પછી આઇ.સી.યુ.માંથી બહાર લાવી શકાય તેવી આશા રાખી રહ્યા છે. વિઠ્ઠલભાઇના સેંકડો ચાહકો તેમના સ્વાસ્થય માટે પ્રાર્થના કરી રહ્યા છે.(૧.૬)