હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર છુટી છ માસથી ફરાર રાજેશ ઉર્ફ ભોપલો પકડાયો
ક્રાઇમ બ્રાંચની ટીમે માલિયાસણથી પકડી લઇ જેલમાં રજૂ કર્યો
રાજકોટ તા. ૫: થોરાળા પોલીસમથકના હત્યાના ગુનામાં જેલ હવાલે થયેલો શખ્સ ચુનારાવાડ-૧ મનહરપરાનો રાજેશ ઉર્ફ ભોપલો કિશોરભાઇ ચાવડા (ઉ.૨૯) વચગાળાના જામીન ૧૮/૪ના રોજ છુટ્યા બાદ રજામાં વધારો કરાયો હતો. એ પછી ૧૯/૬/૨૦ના રોજ રજા પુરી થવા છતાં જેલમાં હાજર ન થતાં અને ફરાર થઇ જતાં તેને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.
રાજેશ ઉર્ફ ભોપલાને કલમ ૩૦૨, ૩૨૪, ૪૫૨, ૫૦૪ સહિતના ગુનામાં તા. ૦૨/૦૭/૨૦૧૭ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. છ માસથી ફરાર આ શખ્સ બેડી ચોકડી નજીક હોવાની બાતમી એ.એસ.આઇ. બલભદ્રસિંહ જે. જાડેજા, હેડ કોન્સ. મહીપાલસિંહ ઝાલા અને કોન્સ. ચેતનસિંહ આર. ગોહિલને મળતાં તેને પકડી લેવાયો છે. એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.