સિવિલ કોવિડ હોસ્પિટલના તબીબો-સ્ટાફને આશીર્વાદ આપતાં મંજુબેન બગથરીયા
સિનીયર સિટીઝન કોરોનામુકત થતાં ગદ્દગદ્દીત થયાઃ બીજા દર્દીઓએ પણ વખાણી સિવિલ હોસ્પિટલની સારવાર-સેવા
રાજકોટ તા.૪ - રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ખાળવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરીની સાથે સાથે કોરોના સંક્રમિત દર્દીઓની વ્યવસ્થિત અને આધુનિક સારવાર થાય તે માટેના સફળ પ્રયાસોથી કોરોનાને મહાત કરનાર દર્દીઓ રાજય સરકાર અને જિલ્લા તંત્રની કામગીરી ને આવકારી સારવાર કરનાર તબીબો અને સ્ટાફને આશીર્વાદ આપી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના મોટા મયકા ગામના સિનિયર સિટીઝન મંજુબેન બાબુભાઈ બગથરીયા એ ભાવુક થઈને જણાવ્યું કે રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલ માં ડોકટરો અને સ્ટાફ ખૂબ સેવા કરે છે. અહીં બધી જ સુવિધા છે. સારામાં સારી સુવિધા સેવા-ચાકરી બદલ મંજુબેને તબીબો અને સ્ટાફને આશીર્વાદ આપી સરકારની કામગીરીને આવકારદાયક ગણાવી હતી.
બીજા એક દર્દી નિમિષાબેન ઓઝાને સારું થઈ જતા તેમને રજા આપવામાં આવતા તેઓએ તેમજ તેમના સગા એ દર્દી અને હોસ્પિટલ વચ્ચે કોમ્યુનિકેશન અને વાતચીત કરવા માટે સિવિલમાં જે વ્યવસ્થા છે તેવી વ્યવસ્થા બીજે કયાંય જોવા મળતી નથી તેમ જણાવ્યું હતું. પારૂલબેન અજીતભાઈ સોલંકી ઉંમર વર્ષ ૫૫ તેમજ હિંમતભાઈ (ઉંમર વર્ષ ૫૦ )એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જમવાની તેમજ ચા-પાણી નાસ્તા ની તેમજ નિયમિત રીતે તપાસ ની અને દર્દી વહેલાસર સાજા થાય તે માટેહિંમત આપવાની સારામાં સારી કામગીરી કરવામાં આવે છે તેવો પ્રતિભાવ આપ્યો હતો. કિશોર ભાઈ બાબુભાઈ એ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે તેઓને છ સાત દિવસથી તકલીફ હતી અને રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા .અહીં એક પરિવારના સભ્યની જેમ કાળજી રાખવામાં આવે છે તેમ તેઓએ જણાવ્યું હતું. ઇન્દુબા રાણાએ જણાવ્યું હતું કે સારવારની સાથે સાથે દર્દી્ને એટેન્ડેન્ટની સુવિધા આપવામાં આવે છે તે ખૂબ સારી વાત છે ,આમ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સાજા થઈને સરકારની કોરોનાની સારવારની કામગીરીને આવકારી રહ્યા છે.