આંગણવાડી બહેનોનું રાજકોટમાં મળી ગયેલ રાજય અધિવેશન - વિશાળ રેલી
રાજકોટ : સીટુ સાથે સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું બીજુ રાજય અધિવેશન તાજેતરમાં રાજકોટ ખાતે સુબોધ મહેતાનગર (અરવિંદભાઇ મણીયાર હોલ) ખાતે યોજાય જતા ૨૬ જિલ્લાના ૪૦૩ આગેવાનો પ્રતિધિિઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ ચોક ખાતેથી વિશાળ રેલી યોજી સુત્રોચ્ચાર કરાયા હતા. બાદમાં આ રેલી મણીયાર હોલમાં સભાનારૂપમાં ફેરવાઇ હતી. અધિવેશન મંચને ગુજરાતના સેવાના ભેખધારી ક્રાંતિકારી મહિલા અગ્રણી સ્વ.નીરૂબેન પટેલ મંચ નામ અપાયુ હતુ. સ્વગત સમિતિના ચેરમેન શ્રીમતી કિરણબેન કાલાવાડીયાએ સ્વાગત પ્રવચન કરી રાજકોટની લડાયક પરંપરાઓને યાદ કરી હતી. અધિવેશન પ્રસંગે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પરના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી ઉષા રાણીએ આંગણવાડી બહેનોનની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. સીટુના પ્રદેશ મંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રદેશ પ્રમુખ અરૂણ મહેતા તેમજ સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહીતે પણ આંગણવાડી બહેનોના મુંજવતા પ્રશ્નો રજુ કરી ન્યાયની માંગણી ઉઠાવી હતી. જો સમયસર યોગ્ય ઉકેલ ન આવે તો તા.૮ જાન્યુઆરીથી હડતાલ શરૂ કરવાનું એલાન અપાયુ હતુ. અધિવેશનના અંતે ત્રણ વર્ષ માટે ગુજરાતના પ્રમુખ તરીકે અરૂણ મહેતા, મહામંત્રી તરીકે કૈલાસબેન રોહીત, ઉપપ્રમુખ તરીકે નસીમબેન મકરાણી, રજુબેન સાંઘાણી, રૂપાબેન જોષી, રાગીણીબેન પરમાર, રેખાબેન પાટીલ સહીતના ૨૧ હોદેદારો, ૫૯ સભ્યોની રાજય કારોબારી સમિતિની ચુંટણી કરવામાં આવી હતી. સીટુના કોમરેડ રામચંદ્રન, અશોક સોમપુરા, સતીષ પરમાર, ડાયાભાઇ જાદવ, લલનભાઇ શર્મા, એલ.આઇ.સી., બી.એસ.એન.એલ., ઇન્કમટેકસ સહીત યુનિયનના આગેવાનોએ અધિવેશનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.