રાજકોટ
News of Tuesday, 5th November 2019

કોર્પો. વધુ ૭ કોમ્યુનિટી હોલનુ ખાનગીકરણ કરશેઃ સંસ્થાઓને સંચાલન સોંપશે

એસ.એન.કે.રોડના લકઝરિયસ કવિશ્રી અમૃત ઘાયલ હોલ પણ ખાનગી સંસ્થાને આપી દેવાશેઃ પ્રત્યેક સંસ્થાને સંચાલન માટે દરમહીને ૧૦ હજારની ગ્રાન્ટ આપશે

રાજકોટ તા.૫: મ્યુ.કોર્પોરેશન દ્વારા વધુ ૭ કોમ્યુનિટી હોલનુ ખાનગીકરણ કરનાર છે. જે માટે ટેન્ડરો પ્રસિધ્ધ થઇ ગયા છે અને આ કોમ્યુનિટી હોલનાં સંચાલન માટે સંસ્થાઓને દરમહીને ૧૦ હજાર સુધીની ગ્રાન્ટ પણ મ્યુ.કોર્પોરેશન દ્વારા અપાશે.

જે કોમ્યુનિટી હોલનુ સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવા નિર્ણય લેવાયો છે (૧) નવનિર્મિત કોમ્યુનીટી હોલ, એસએનકે સ્કુલ સામે, યુનિ.રોડ યુનિટ-૧, (૨)નવનિર્મિત કોમ્યુનીટી હોલ, એસએનકે સ્કુલ સામે, યુનિ. રોડ,યુનિટ-૨, (૩)શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ

(ધરમનગર આવાસ પાસે), (૪)શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે), (૫)ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ, (૬)અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ, (૭)શ્રીમહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંત કબીર રોડ), (૮)શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) વગેરેનો સમાવેશ છે.

આ દરેક કોમ્યુનીટી હોલના બુકીંગ તથા ભાડુ અને ડીપોઝીટ વસુલવા સંબંધી કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. કોમ્યુનીટી હોલના વીજ વપરાશનું બીલ સંચાલક સંસ્થાએ ભરવાનું રહેશે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ યુનિટનો નિયત કરવામાં આવ્યા મુજબનો વીજ વપરાશ ચાર્જ,ભાડે રાખનાર પાસેથી સંચાલક સંસ્થાએ વસુલવાનો રહેશે. તેમજ સંચાલક સંસ્થાએ દર મહિને વીજ બીલ ભરપાઇ કર્યાની પહોંચની નકલ રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં જમા કરાવવાની રહેશે. સંચાલક દ્વારા કોમ્યુ.હોલ ખાતે વીજ વપરાશ અને વસુલાત અંગેનું રજીસ્ટર રાજકોટ મહાનગરપાલિકા સુચવે તે મુજબ નિભાવવાનું રહેશે અને વીજ વપરાશ ચાર્જ વસુલ્યા અંગે આર.એમ.સી.ની એપમાં દરરોજ ડેટા અપલોટ કરી આપવાનો રહેશે.

કોમ્યુનીટી હોલના સંચાલન સંબંધે જરૂરી વહીવટી સ્ટાફ અને દૈનિક સફાઇની વ્યવસ્થા સંચાલક સંસ્થાએ પોતાના ખર્ચે કરવાની રહેશે. આ કામે રાખેલ વ્યકિતઓ ભવિષ્યમાં નોકરી માટે કે કોઇપણ હકક હિસ્સા માટે કયારેય રાજકોટ મહાનગરપાલિકામાં દાવો કરી શકશે નહી. કોમ્યુનીટી હોલના સંચાલન, સફાઇ, લીફટ ઓપરેશન, સિકયુરીટી વિગેરેને લગતુ સંપુર્ણ ખર્ચ સંચાલન સંભાળનાર સંસ્થાએ ભોગવવાનુ રહેશે. સંચાલક સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે ૨૪ કલાક સિકયુરીટીની વ્યવસ્થા કરવાની રહેશે. જો ચેકીંગ દરમ્યાન સિકયુરીટી ગાર્ડ નહી હોય તો જે તે દિવસની રૂ.૧૦૦૦ની પેનલ્ટી વસુલવામાં આવશે. ચેકીંગ દરમ્યાન સફાઇમાં ઉણપ જણાશે તો રૂ.૧૦૦૦ની પેનલ્ટી સંચાલક સંસ્થા પાસેથી વસુલવામાં આવશે.

(3:21 pm IST)