રાજકોટ
News of Tuesday, 5th November 2019

વૈદરાજ નરેન્દ્રભાઈ ભટ્ટની ચિર વિદાયઃ ગુરૂવારે બેસણું

તેમના દર્દીઓમાં પૂ.પ્રમુખ સ્વામી, પૂ.મહંત સ્વામી, વજુભાઈ વાળા, સ્વ.અરવીંદભાઈ મણીયાર, સ્વ.ચિમનભાઈ શુકલ તથા ધિરૂભાઈ અંબાણી પરિવાર સામેલ હતા : આર્યુવેદની સાથો-સાથ તેઓ સંગીતના પણ ઊંડા જાણકાર હતાઃ તબલા- ઢોલમાં વિશારદ હતાઃ ''અકિલા પાયોનીયર''માં વર્ષો સુધી જજ તરીકે સેવા આપેલ

રાજકોટ,તા.૫: સૌરાષ્ટ્રના જાણીતા વૈદરાજ શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ (નરેન્દ્રમામા)નું આજે ૮૦ વર્ષની વયે નિધન થતા ઘેરો શોક છવાયો છે. નરેન્દ્રમામાના નામથી જાણીતા વૈદરાજ શ્રી નરેન્દ્રભાઈ પરમાણનંદભાઈ ભટ્ટ આર્યુવેદ ક્ષેત્રે ઓથોરીટી ગણાતા અને અનેક પેચીદા દર્દોમાં તેમની સારવાર ખુબ જ કારગત નિવડેલ. સૌને સદા ઉપયોગી થતા અને તેમની તંદુરસ્તી અને મનદુરસ્તીનો સાક્ષાતકાર કરાવીને સ્વસ્થતાનો સંદેશો આપતા. વૈદરાજ શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ (નરેન્દ્રમામા)ની ચિર વિદાયથી શોક છવાયો છે.

વૈદરાજ શ્રી નરેન્દ્રભાઈ પરમાનંદભાઈ ભટ્ટ (નરેન્દ્ર મામા)  તે શ્રી ચીમનભાઈ શુકલ ના સાળા , શ્રી અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઈ ભારદ્વાજ(ભટ્ટ) તથા શ્રી કૌશિકભાઈ શુકલ , કાશમીરાબેન નથવાણી, કશ્યપભાઈ શુકલ, નેહલભાઈ શુકલ ના મામા તેમજ વિપુલ ભટ્ટ અને ધાત્રી ભટ્ટના પિતાશ્રીનો આજ રોજ અક્ષરવાસ  થયેલ છે.  સદ્ગતની સ્મશાન યાત્રા બપોરે ૨ વાગ્યે તેમના નિવાસસ્થાને (''નંદનવન'' ૩- મધુવન પાર્ક, નૈત્રી પાણીપુરી વાળી શેરી ,૧૫૦ ફૂટ રિંગરોડ, રાજકોટ) થી નીકળી મોટામૌવા સ્મશાનગૃહ પહોંચી હતી. સ્મશાનયાત્રામાં શ્રીમતી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, યુસુફભાઈ જુણેજા, વિજયભાઈ ચૌહાણ તથા પાયોનિયર ગ્રુપ, લોધાવાડ ચોક ઓટલા પરિષદના સભ્યો સહીતના અન્ય રાજકીય અને સામાજીક અગ્રણીઓ જોડાયા હતા.

સ્વ.નરેન્દ્રભાઈન ''અકિલા''ના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાએ નિવાસસ્થાને પુષ્પાંજલી અર્પી ભટ્ટ- ભારદ્વાજ તથા શુકલા પરિવારને સાંત્વના પાઠવી હતી.

સ્વ.નરેન્દ્રભાઈ ભટ્ટે આર્યુવેદમાં માસ્ટર કરેલ તેઓ સ્વામીનારાયણ ધર્મ પાળતા. તેમના પેશન્ટોમાં પૂ.પ્રમુખ સ્વામી, પૂ.મહંત સ્વામી, કર્ણાટકના ગર્વનરશ્રી વજુભાઈ વાળા, ભાજપના પાયાના પથ્થર સ્વ.અરવિંદભાઈ મણીયાર, સ્વ.ચિમનભાઈ શુકલ અને ધીરૂભાઈ અંબાણી પરિવાર જેવા વિશ્વ વિખ્યાત મહાનુભાવોનો સમાવેશ થાય છે. મુંબઈથી રાજકોટ આવ્યા બાદ તેઓ લોધાવાડ ચોક ખાતે દવાખાનુ ધરાવતા હતા અને લોકોના હઠીલા રોગોનો ઈલાજ કરતા. તેમના સસરા ડો.રાવલ પણ કચ્છના બીદડા ગામે પ્રેકટીસ કરતા હતા.

સ્વ.નરેન્દ્રભાઈ ભટ્ટ ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. શરૂઆતમાં તેઓ રાજકોટ ખાતે બહેન મધુબેનને ત્યાં જ સેટલ થયા હતા. તેઓ વૈદરાજ હોવાની સાથો- સાથ સંગીતપ્રેમી પણ હતા. તેમણે તબલા- ઢોલમાં વિશારદ હાંસલ કર્યુ હતુ. સ્વ.નરેન્દ્રમામા એ ''અકિલા'' પાયોનીયરમાં પણ નિર્ણાયક તરીકે વર્ષો સુધી સેવા પ્રદાન કરી હતી. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.વલ્લભભાઈ પટેલ પણ સ્વ.નરેન્દ્રમામા પાસેથી જ ઉપચાર કરાવતા. ઉપરાંત તેઓ જૈન સાધુ- સાધ્વીજીઓની પણ આર્યુવેદ દ્વારા વૈયાવચ્ચ કરતા હતા.

સ્વ.નરેન્દ્રભાઈ ભટ્ટ (નરેન્દ્રમામા) પરિવારમાં પત્નિ સુધાાબેન, પુત્ર વિપુલભાઈ (સ્વીમીંગ કોચ, આરએમસી) (મો.૯૮૨૫૨ ૧૯૮૯૯), પુત્રી ધાત્રી,  પુત્રવધુ હેમાંગીબેન, પૌત્ર જશ તથા પૌત્રી દિયાને વિલાપ કરતા છોડી ગયા છે.

સ્વ.નરેન્દ્રભાઈ ભટ્ટનું બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬, નુતનનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(4:05 pm IST)