આજે-કાલે બંને ટીમોની નેટ પ્રેકટીસ : ગુરૂવારે મહામુકાબલો
વિરાટ, લોકલ બોય જાડેજા ટીમમાં નથી આમ છતાં રાહુલ, ધવન, પાંડે સહિતના નવોદીત ખેલાડીઓ આકર્ષણ જમાવશે : પ્રથમ મુકાબલામાં હાર બાદ બીજા મેચમાં જીતનું દબાણ : ચોગ્ગા - છગ્ગાનો વરસાદ થશે : રાજકોટમાં છવાયુ ક્રિકેટ ફિવર
રાજકોટ, તા. ૫ : ભારત અને બાંગ્લાદેશની ટીમોનું ગઈકાલે આગમન થઈ ગયુ છે. ટીમ ઈન્ડિયાને હોટલ ફોર્ચ્યુનમાં અને બાંગ્લાદેશની ટીમને હોટલ ઈમ્પેરીયલ પેલેસમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમોએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો હતો. પ્રથમ ટી-૨૦માં હાર બાદ રાજકોટમાં ભારતની જીત માટે પ્રેશર વધ્યુ છે.
દરમિયાન આ વખતે ક્રિકેટ પ્રેમીઓને વિરાટ, જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓની કમી વર્તાશે પરંતુ કેપ્ટન રોહિત શર્મા, ધવન, પાંડે, ચહલ જેવા ખેલાડીઓ મેદાનમાં આકર્ષણ જમાવશે. યુવા અને નવોદીત ખેલાડીઓ સાથે અનુભવી ખેલાડીઓએ પણ પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપવુ પડશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરીના મેદાનમાં ૭મીએ મહામુકાબલો રમાનાર છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ટિકીટોનું ધૂમ બહારમાં વેચાણ થઈ રહ્યુ છે. એસ.સી.એ.ના અધિકારીઓની ટીમ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવી છે.રાજકોટની ખંઢેરીની પીચ બેટીંગ પીચ છે. જેથી રનોના ઢગલા થશે. દર્શકોને ચોગ્ગા - છગ્ગાની રમઝટ માણવા મળશે. લાંબા સમય બાદ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેચ રમાઈ રહ્યો હોય ચોમેર ક્રિકેટ ફીવર છવાયુ છે.