નાનામવાની ભીમનગરમાં થયેલી મારામારી અને રાયોટના ગુનામાં ફરાર બે પકડાયા
તાલુકા પોલીસે બંનેને દબોચ્યો : અશોક સિંધવ, અપહરણ, મારામારી, દારૂ અને પાસા સહિત ૨૭ ગુનામાં સામેલ અને ભરત વાસુર દારૂ જુગાર અને પાસા સહિત ૧૧ ગુનામાં સામેલ
રાજકોટ,તા. ૫ : શહેરના નાના મવા રોડ ભીમનગર સર્કલ પાસે થયેલા યુવાન પર હુમલો અને રાયોટીંગના ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ એન.ડી.ડામોર તથા પી.એમ.રાઠવા તથા એ.એસ.આઇ આર.બી.જાડેજા, વિજયગીરી ગોસ્વામી તથા કોન્સ. અમીનભાઇ ભલુર, કોન્સ. હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા, મનિષભાઇ સાંઢીયા અને હર્ષરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ એન.ડી.ડામોર, પી.એમ.રાઠવા તથા એ.એસ.આઇ વિજયગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે ગત તા ૧૫/૬ના રોજ નાનામવા રોડ ભીમનગર સર્કલ પાસે થયેલી મારામારી અને રાપોટીંગના ગુનામાં બે માસથી નાસતા ફરતા અશોક ગોવિંદભાઇ સીંધવ (ઉવ.૪૩) (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૨,૫૦૦ ફુટ રીંગ રોડ)અને ભરત માધવજીભાઇ વાસુર (ઉવ.૩૮) (રહે. થોરાળા પોલીસ સ્ટેશનની પાછળ વિજયનગર શેરી નં. ૯)ને પકડી લીધા હતા. પકડાયેલો અશોક સિંધવ રાયોટ, મારામારી, અપહરણ, જુગાર તથા પાસા સહિતના ૨૭ ગુનામાં અને ભરત વાસુર વિદેશી દારૂ, જુગાર અને પાસા સહિતના ૧૧ ગુનામાં સામેલ છે. આ અંગે પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.