મેલેરિયાએ દેખા દિધીઃ બે દર્દી નોંધાયા
છેલ્લા અઠવાડિયામાં રોગચાળાનું ધીમા પગલે આગમનઃ તાવ-શરદીમાં ૩૫૦થી વધુ દર્દીઓ નોંધાયા
રાજકોટ, તા. ૫ :. શહેરમાં હજુ ચોમાસુ પુરેપુરૂ જામ્યુ નથી ત્યાં જ રોગચાળાએ ધીમા પગલે આગમન કરી લીધાનું મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ચોપડા ઉપર નોંધાયુ છે. આરોગ્ય અધિકારીએ સત્તાવાર જાહેર કર્યા મુજબ છેલ્લા એક અઠવાડીયામાં શહેરના સરકારી અને ટ્રસ્ટના દવાખાનાઓમાં તાવ, શરદી, ઝાડા-ઉલ્ટીના ૩૫૦થી વધુ દર્દીઓ નોંધાયા છે.
આરોગ્ય શાખાની નોંધ મુજબ સામાન્ય શરદી-ઉધરસના ૧૮૨, ઝાડા-ઉલ્ટીના ૧૧૨, ટાઈફોઈડના ૩, મરડાના ૭, મેલેરીયાના ૨, કમળાના ૨ અન્ય તાવના ૨૩ સહિત ૩૦૦થી વધારે દર્દીઓ નોંધાયા છે.
રોગચાળા અટકાયતી પગલા
દરમિયાન આરોગ્ય વિભાગે રોગચાળાને અટકાવવા માટે ૧૬૧૪ મકાનોમાં દવા છંટકાવ કર્યો હતો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડાઓમાં દવા છાંટવામાં આવી હતી. આ ઉપરાંત ૮૬ જેટલા ખાણીપીણીના સ્થળોએથી ૨૨૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.(૨-૨૭)