સત્સંગથી વ્યકિતના જીવનમાં પ્રેમ, નમ્રતા અને ભકિતના ગુણોનું સિંચન થાય છે, સત્સંગની કમાણીએ જ જીવનમાં ખરી કમાણી
દાદા જે.પી. વાસવાણીની જીવન શતાબ્દી અંતર્ગત ૧૦૦ સત્સંગોનું સમાપન
રાજકોટઃ સાધુ વાસવાણી સેન્ટર રાજકોટ દ્વારા સાધુ વાસવાણી મિશનના હાલના આધ્યાત્મિક વડા દાદા જે.પી. વાસવાણી જીવન શતાબ્દીના ૧૦૦માં વર્ષ અંતર્ગત સાધુ વાસવાણી સેન્ટર રાજકોટ દ્વારા ૧૦૦ સત્સંગનું આયોજન કરાવમાં આવ્યું હતું. શહેરના અલગ- અલગ એરીયા જેવા કે માધાપર ચોકડી- ૧૮૦ ફીટ રીંગ રોડ, એરોડ્રોમ રોડ, જંકશન પ્લોટ, જાગનાથ પ્લોટ, મહિલા કોલેજ વિસ્તાર જેવા અન્ય કેટલાક વિસ્તારના ઘરોમાં સત્સંગ કરી દાદા જે.પી. વાસવાણીજીના માફી અને પ્રેમના સંદેશને કીર્તન- ભજન દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. આ અંતર્ગત ૪ નવેમ્બર ૨૦૧૭ના ગુરૂનાનક જન્મ જયંતિના પુણ્ય દિવસથી આરંભ થયેલી સત્સંગયાત્રા તા.૬ મે ૨૦૧૮ના રોજ ૧૦૦ સત્સંગ સાથે દિવ્ય સંભારણા સમી બની રહી. ૧૦૦માં સત્સંગનું આયોજન સાધુ વાસવાણી સ્કુલ ફોર ગર્લ્સ ખાતે કરાવમાં આવ્યું. આ ૧૦૦માં સત્સંગમાં શહેરભરમાંથી ૪૦૦થી વધુ લોકોએ લાભ લીધો. જૂનાગઢ તથા જેતપુરથી સાધુ વાસવાણી મિશનના ભકતોને શુભેચ્છાઓ પાઠવી હતી. દાદાના ઉપદેશમાં પૂજય દાદાએ સત્સંગનો મહિમા જણાવતા કહ્યું છે સત્સંગ દ્વારા માણસના જીવનમાં પ્રેમ, નમ્રતા અને ભકિતના ગુણોનું સિંચન થાય છે. દાદાએ વધુમાં જણાવ્યું હતું કે જીવનમાં ખરી કમાણીએ સત્સંગની કમાણી છે. જેના દ્વારા તમામ સદ્દગુણો મેળવી શકાય છે. (૩૦.૫)