રાજકોટ
News of Tuesday, 5th June 2018

લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી લડવા ઘણાં બધા મહાનુભાવો તૈયારીમાં લાગ્યા

કાશ્મીરાબેન નથવાણીને બદલે તેના ગ્રુપ વતી રાજુભાઇ પોબારૂ કે પછી અતુલ રાજાણી ચૂંટણીમાં ઝુકાવશે ? રમેશભાઇ ધામેચાને સંખ્યા બંધ અગ્રણીઓનું સમર્થન મળી રહ્યું છે..શેરબજારમાં માનભર્યું સ્થાન ધરાવતા હસમુખ બલદેવ પણ સક્રિય થયાઃ યોગેશ પુજારા (રઘુવીર સેના) અને સંજય લાખાણી મેદાનમાં

રાજકોટ તા.૪: લોહાણા મહાજન રાજકોટની નવેસરથી ચૂંટણી કરવાનો નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટનો હુકમ થયો છે ત્યારે ચૂંટણીમાં પ્રમુખ પદે લડવો  માટે ઘણાંબધા આગેવાનો તૈયારીમાં લાગ્યા હોવાનું જ્ઞાતિમાં ચર્ચાય રહયું છે.

ભા.જ.પ.માં પોતાની રાજકીય કારકિર્દીનું ઉજળુ ભવિષ્ય દેખાતા લોહાણા મહાજનના હાલના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી કદાચ પ્રમુખપદ માટે ચૂંટણી લડે તેવી શકયતા ઓછી હોવાની ચર્ચા છે, ત્યારે તેમના ગ્રુપમાંથી રાજુભાઇ પોબારૂ (સટ્ટાબજાર) કે પછી જુના કોંગ્રેસના નાતે તેમના એક વિશ્વાસુ ગણાતા કોંગ્રેસ અગ્રણી અતુલભાઇ રાજાણી લોહાણા મહાજન રાજકોટના પ્રમુખપદ માટેની ચૂંટણી લડે તેવી કર્ણોપકર્ણ ચર્ચા સંભળાઇ રહી છે. આ બાબત સંદર્ભે કાશ્મીરાબેન નથવાણી, નિતીનભાઇ નથવાણી, શૈલેષભાઇ ગણાત્રા, રાજુભાઇ પોબારૂ, અતુલભાઇ રાજાણી, મિતલભાઇ ખેતાણી, વિગેરેની એક બેઠક પણ યોજાઇ ગઇ હોવાનું સંભળાઇ રહયું છે.

શ્રી ે અતુલ રાજાણી વર્ષોથી અને હાલમાં પણ કોંગ્રેસને સમર્પિત છે. હવે જો કાશ્મીરાબેન નથવાણીના ગ્રુપવતી તેમના સમર્થિત ઉમેદવાર તરીકે શ્રી અતુલ રાજાણી મહાજનની ચૂંટણી લડે તો પાર્ટી લેવલે પણ કદાચ મતભેદ ઉભા થઇ શકે. ઉપરાંત ભા.જ.પ. સમર્પિત લોહાણા જ્ઞાતિજનો શ્રી અતુલ રાજાણી ની વિરૂધ્ધમાં મતદાન કરે  અને ભાજપમાંથી પણ કોઇ સળવળાટ થાય તેવુ પણ બને.

રાજુભાઇ પોબારૂ અને અતુલભાઇ રાજાણી ઉપરાંત મુકેશભાઇ પુજારા, યોગેશભાઇ પુજારા (રઘુવીર સેના), સંજયભાઇ લાખાણી, પ્રતાપભાઇ કોટક, હસુભાઇ ભગદે, વિગેરે ધુરંધર જ્ઞાતિજનોના નામો પણ લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર માટે ગાજી રહયા છે.

મહિલાઓમાં શિલ્પાબેન પુજારા અને રીટાબેન કોટકના નામો પણ ચર્ચાય છે.

દરમિયાન દાયકાઓથી શેરબજારમાં ડીરેકટર તરીકે નિર્વિવાદ ચુંટાઇ આવતા ધરખમ ગજાના અગ્રણી શ્રી હસમુખ બલદેવ  પણ રઘુવંશી જ્ઞાતિના આ મહત્વના પદ માટે ઝૂકાવી રહ્યાનું અને અનેક જ્ઞાતિ અગ્રણીઓને મળી તાગ મેળવી રહ્યાનું જાણવા મળે છે.

નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટના ૪૫ દિવસમાં મહાજનની ચૂંટણી કરવાના આદેશ મુજબ આવતા મહિને જુલાઇ માસમાં ચૂંટણી પ્રક્રિયા પુરી કરી દેવી પડે.

આ ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે લોહાણા મહાજન રાજકોટના ઉપપ્રમુખ અને લડાયક યુવા રઘુવંશી અગ્રણી શ્રી  રમેશભાઇ ધામેચા તથા ગ્રુપે ચૂંટણીમાં ઝંપલાવી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇરાદો જાહેર કરી દીધો છે તેમને અનેક જ્ઞાતિ અગ્રણીઓ સમર્થન આપી રહ્યાનું પણ ચર્ચાય છે. ત્યારે રાજકોટમાં આશરે અઢીથી પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા લોહાણા સમાજમાં ઉતેજના છવાઇ ગઇ છે અને સાથો સાથ રઘુવંશી સમાજના આ ગૌરવવંતા સ્થાન માટે ચૂંટણી કયારે થશે તેની તારીખ કયારે જાહેર થશે તેની રાહ જોઇ રહ્યા છે.

(3:31 pm IST)