રાજકોટ ગુરૂકુળની ડલાસ (અમેરિકા) શાખાનું ઓગસ્ટમાં ઉદ્ઘાટનઃ ભાવિકોને ભીંજવતો સત્સંગ
વચનામૃતના વાકયો કાળમાં કટાય નહિ અને લક્ષ્ય ચુકવે નહિ એવા છે
અમેરિકાના ટેક્ષસાસ રાજયના ડલાસ શહેરમાં રાજકોટ ગુરૂકુળની શાખા નિર્માણાધીન છે. ત્યાં ભકતો દ્વારા અઠવાડીયાના અંતિમ દિવસનો સત્સંગ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર. (પ-૧૪)
રાજકોટ તા. પ :.. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળની અમેરિકા-ડલાસ શાખાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એ સાથે સ્થાનીક ભકતો દ્વારા અધિક મહિનામાં વીક એન્ડ ડે માં વિશેષ સત્સંગ તથા ભજન ભકિતનું આયોજન ચાલી રહ્યું છે.
ભગવાન શ્રી સ્વામીનારાયણ પ્રબોધિત શ્રી વચનામૃત ગ્રંથરાજની દ્વિશતાબ્દી સને ર૦૧૯ માં દેશ-વિદેશમાં ઉજવાશે. એ પૂર્વે રાજકોટ શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશાનુસાર ડલાસ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ભકતોએ વચનામૃતના પાઠ સાથે મનન અને ચિંતનનો વિશેષ કાર્યક્રમ યોજેલ.
અમેરિકાના ટેકસાસ રાજયના ડલાસ સીટી ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળમાં ભાવિકોને સત્સંગ લાભ આપતા શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે વચનામૃત ગ્રંથમાં કેવળ ભગવાન શ્રી સ્વામીનારાયણે સર્વ શાસ્ત્રોના સાર રૂપે વહાવેલી વાણી છે. એમણે આપેલા આદેશો કાળમાં કટાઇ નહિ ને લક્ષ્ય ચૂકાય નહિ તેવા છે. એ શબ્દોથી વીંધાઇ ગયેલા ને શબ્દને વીંધીને આરપાર નીકળી ગયેલા નંદ સંતો શ્રી મુકતાનંદસ્વામી, શ્રીગોપાલનંદસ્વામી, શ્રી નિત્યાનંદસ્વામી તથા શ્રી શુકાનંદ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણે જે તે સમયે ઉચ્ચારેલ વાણીને ગ્રંથસ્થ કરી લીધેલી છે. જે આજે આપણને ઉપલબ્ધ બની છે.
આ પ્રસંગે શ્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામી નારાયણે સૌરાષ્ટ્રમાં વિતાવેલ ૩૦ વર્ષમાં ૧૦ અધિક માસ આવેલ તેમાં વચનામૃત લખાયા એ દસ વરસમાં ૪ અધિક માસ આવેલ. તેમાં એક અધિક માસ સવંત ૧૮૭૬ સને ૧૮૧૯ માં આવેલ. તે અધિક માસ જેઠ માસ હતો તે ત્યારે ગઢડા પ્રથમ પ્રકારનું ૭૬ મું વચનામૃત કહેવાયું છે. આ વર્ષે પણ જેઠમાસ અધિક માસ છે. એમાં જે કંઇ ભજન, તપ, વ્રતદાન, પુણ્ય, સ્નાન યાત્રા આદિકનું વિશેષ ફળ મળતું હોય છે.
આ પ્રસંગે તરવડા શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળથી શ્રી ત્યાગવલ્લભદાસજી સ્વામી, જૂનાગઢ ગુરૂકુળ થી શ્રી જગતપ્રકાશદાસજી સ્વામી, હૈદરાબાદ ગુરૂકુળથી શ્રી શ્રુતિપ્રકાશદાસજીસ્વામી વગેરે સંતો તેમજ શ્રી ધીરૂભાઇ બાબરીયા, ભરતભાઇ સુહાગીયા, હરેશભાઇ રામાણી, બાબુભાઇ બાબરીયા, કિશોરભાઇ ગજેરા, કેયુરભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, અમૃતભાઇ નાદપરા, જીતુભાઇ કુનડીયા, રાવજીભાઇ પટેલ, હિંમતભાઇ વાઘેલા, મુકેશભાઇ રાખોલીયા, વગેરે ભકતોએ લાભ લીધેલ.